દેશની સર્વોચ અદાલત સુપ્રીમ કોર્ટે એક મહત્વનો ચુકાદો આપતા કહ્યું હતું કે, જો કોઈ વ્યક્તિને તેના સંપત્તિના અધિકારોથી વંચિત રાખતા પહેલા યોગ્ય કાયદાકીય પ્રક્રિયા અપનાવવામાં નહીં આવે તો ખાનગી સંપત્તિનું ફરજિયાત સંપાદન ગેરબંધારણીય હશે. સર્વોચ્ચ અદાલતે એમ પણ કહ્યું હતું કે, ખાનગી મિલકતોના સંપાદનના બદલામાં વળતરની ચુકવણીની વૈધાનિક યોજના પણ યોગ્ય રહેશે નહીં જો રાજ્ય અને તેની તંત્ર દ્વારા યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં ન આવે. આ ટિપ્પણી કરતાં જસ્ટિસ પી.એસ.નરસિમ્હા અને જસ્ટિસ અરવિંદ કુમારની બેન્ચે કોલકાતા મ્યુનિસિપલ કોર્પોરેશનની અપીલ ફગાવી દીધી હતી.
શહેરી સંસ્થાએ કોલકાતા હાઈકોર્ટની ડિવિઝન બેંચના નિર્ણયને પડકારતા સર્વોચ્ચ અદાલતનો સંપર્ક કર્યો હતો જેણે પાર્કના નિર્માણ માટે શહેરના નારકેલ ડાંગાનોર્થ રોડ પરની મિલકતના સંપાદનને રદ કર્યો હતો. મહત્વની વાત છે કે, હાઈકોર્ટે તેના ચુકાદામાં કહ્યું હતું કે, ફરજિયાત સંપાદન માટેની ચોક્કસ જોગવાઈ હેઠળ મહાનગરપાલિકા પાસે કોઈ સત્તા નથી. સર્વોચ્ચ અદાલતે તેના નિર્ણયમાં કહ્યું કે, કલમ 300A હેઠળ જમીન માલિકને પ્રક્રિયાગત અધિકારો આપવામાં આવે છે. રાજ્યની ફરજ છે કે, તે સંબંધિત વ્યક્તિને જાણ કરે કે તે તેની મિલકત હસ્તગત કરવા માગે છે. સંપાદન અંગેના વાંધાઓ સાંભળવાની પણ રાજ્યની ફરજ છે.




