ગુજરાત સરકાર દ્વારા ૨૦૦૭માં નિર્મળ ગુજરાત વર્ષ જાહેર કરી નિર્મળ ગુજરાત અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. આ પછી રાજ્ય સ્વચ્છતા બાબતે હંમેશા અગ્રેસર હોવાથી સ્વચ્છતા ઝુંબેશને આગળ વધારવા તેમજ સ્વચ્છતા બાબતે રાજ્યના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવાના હેતુથી રાજ્યને એક મોડલ રાજ્ય બનાવવા તા. ૨૫/૧૨/૨૦૨૩ના સુશાસન દિવસે મુખ્યમંત્રીશ્રી દ્વારા ‘નિર્મળ ગુજરાત ૨.૦’ શરૂ કરવામાં આવ્યું છે.
‘નિર્મળ ગુજરાત ૨.૦’ અંતર્ગત ગાંધીનગર જિલ્લામાં પણ સ્વચ્છતાની કામગીરી વધુ સુદ્રઢ રીતે થઈ શકે તે માટે જિલ્લા કલેકટર શ્રી મેહુલદવેનીઅધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી મેહુલ દવેએ ઉપસ્થિત અધિકારીઓને સુચન કરતાં કહ્યુ હતું કે, સ્વચ્છતાની બાબતમાં સજાગ રહી કામગીરી વધુ સુદ્રઢ બનાવવા સૌએ સાથે મળીને પ્રયત્ન કરવાના છે. સાથે સાથે તેમણે દહેગામ, માણસા, કલોલ નગરપાલિકા તથા ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા નિર્મળ ગુજરાત અભિયાન અંતર્ગત કામગીરીની સમીક્ષા કરી હતી. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય મોદી, પોલીસ અધિક્ષકશ્રી વાસમ શેટ્ટી રવિ તેજા, નિવાસી અધિક કલેક્ટરશ્રી તથા નગરપાલિકાના ચીફ ઓફીસર સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.




