હનુમાન જયંતિના પાવન પર્વે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદારોને જાગૃત કરવા માટે જિલ્લાના આઠ જેટલા હનુમાનજીના પ્રસિદ્ધ મંદિર ખાતે સેલ્ફી પોઇન્ટ મુકવામાં આવ્યા હતા. હનુમાન મંદિરે દર્શન કરવા આવતાં ભક્તોમાં આ સેલ્ફી પોઇન્ટ ધ્યાનાકર્ષિત બન્યા હતા. લોકશાહીના અવસરને વધુ સોહમણો બનાવવા માટે મતદાન વધુમાં વધુ થાય તે ખૂબ જરૂરી છે. મતદાન વધે તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી મેહુલ દવેના માર્ગદર્શન હેઠળ સ્વીપની ઉમદા કામગીરી કરવામાં આવે છે. સ્વીપના નોડલ અધિકારીશ્રી ર્ડા. બી.એન.પ્રજાપતિ અને જિલ્લાના પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી પિયુષ પટેલ દ્વારા હનુમાન જયંતિના પાવન પર્વે ભક્તોને લોકશાહીના પર્વમાં મતદાન અવશ્ય કરવાની જાગૃત્તિ આપવા માટે અનોખા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગાંધીનગર જિલ્લામાં આવેલા આયુર્વેદ દવાખાનામાં ફરજા બજાવતા મેડિકલ ઓફિસર અને જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીમતી ર્ડા. ભાવનાબેન પટેલના સહયોગથી જિલ્લાના જાણીતા હનુમાન મંદિર ખાતે સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા હતા. જિલ્લાના લોદરા ગામ ખાતે આવેલા બાલાહનુમાન મંદિર, જમિયતપુરા હનુમાન મંદિર, હનુમાન મંદિર, સેકટર-૧૭, રૂપાલ વરદાયનિ માતાનું મંદિર, તેરસીયા હનુમાન મંદિર, કલોલ, દહેગામનું ઉદણ હનુમાન મંદિર, ડભોડા હનુમાન મંદિર અને ધમાસણા હનુમાન મંદિર ખાતે આ સેલ્ફી પોઇન્ટ ઉભા કરવામાં આવ્યા હતા.
હનુમાન જયંતિના પાવન પર્વે સવારથી જ ભક્તો હનુમાન મંદિર ખાતે દર્શન કરવા આવતાં હતા. હનુમાનજીના દર્શન કર્યા બાદ લોકશાહી દેશના નાગરિક હોવાનું ગૌરવ વ્યક્ત કરીને મતદાન અવશ્ય કરીશું, તે માટેની જાગૃત્તિ અર્થે ઉભા કરવામાં આવેલા સેલ્ફી પોઇન્ટ પર પોતાનો ફોટો પડાવવા માટે આવતાં હતા. તમામ હનુમાન મંદિર ખાતે લોકશાહીના અવસરમાં સહભાગી થવા થનગની રહ્યા હોય તેમ ભક્તો સેલ્ફી પોઇન્ટ ખાતે પોતાના ફોટા પાડવી રહ્યા હતા. જિલ્લાના તમામ સ્થળો ખાતે આ સેલ્ફી પોઇન્ટમાં વધુમાં વધુ નાગરિકો પોતાની સેલ્ફી પાડે તે માટે જિલ્લા આયુર્વેદ અધિકારી શ્રીમતી ર્ડા. ભાવનાબેન પટેલના માર્ગદર્શન હેઠળ આયુર્વેદ દવાખાના મેડિકલ ઓફિસર સર્વે શ્રી ર્ડા. મીરા રાજયગુરૂ, ર્ડા. કિષ્ના આર્ય, ર્ડા.અંકિતા પરમાર, ર્ડા. કામિની વ્યાસ, ર્ડા. યતુલ નાગર, ર્ડા. રૂપલ પરમાર, ર્ડા. પ્રિયંકા ગામેતી અને ર્ડા. વર્ષા ચૌઘરી અને તેમના સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.




