ગુજરાતમાં મેઘરાજાની સાર્વત્રિક મહેર બાદ રાજ્યના 55 ટકાથી વધુ એટલે 206 જળાશયોમાંથી 115 જળાશયો સંપૂર્ણ 100 ટકા ભરાઈ ગયાં છે. જ્યારે 45 જળાશયો 70 થી 100 ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય રાજ્યના 17 ડેમ 50 ટકાથી 70 ટકા ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ 20 ડેમમાં 25 થી 50 ટકા વચ્ચે અને 9 ડેમમાં 25 ટકાથી ઓછું પાણીનો સંગ્રહ થયો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં 2,88,248 એમ.સી.એફ.ટી એટલે કે, કુલ સંગ્રહ શક્તિના 86 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે.
જ્યારે રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,40,773 એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના 79 ટકાથી વધુ જળસંગ્રહ નોંધાયો છે. આમ રાજ્યના કુલ 207 જળાશયોમાં 81 ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. આજે સવારે 8 વાગ્યા સુધીમાં રાજ્યમાં વરસાદના કારણે સૌથી વધુ સરદાર સરોવર ડેમમાં 2.35 લાખ ક્યુસેક પાણીની આવક સામે 2.45 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે.
આ સાથે અન્ય ડેમમાંથી આજે સવારે 8 : 00 વાગ્યા સુધીમાં થયેલી પાણીની આવક અને જાવક નીચે મુજબ નોંધાઈ છે. આ ઉપરાંત સૌથી વધુ મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 92 ટકા, કચ્છના 20 જળાશયોમાં 87 ટકા, સૌરાષ્ટ્રના 141 જળાશયોમાં 85 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 78 ટકા અને ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 52 ટકાથી વધુનો જળસંગ્રહ નોંધાયો છે. આમ, સરદાર સરોવર સહિત 207 જળાશયોમાં અત્યાર સુધીમાં 81 ટકાથી વધુ પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે 207 જળાશયોમાં 76 ટકાથી વધુનો જળસંગ્રહ નોંધાયો હતો.




