જેતપુરમાં પત્નીને બિમારી સબબ હોસ્પિટલમાં સારવારમાં રોકાયેલા ડુંગળી બટેટાનાં વેપારીના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી લોકરમાંથી રોકડ અને સોનાના દાગીના મળી 7.80 લાખની માલમતા ચોરી કરી ગયાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનામાં પોલીસે સીસીટીવી ફુટેજનાં આધારે તસ્કર ગેંગનું પગેરૂ દબાવવા પ્રયાસો હાથ ધર્યા છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈન્દ્રેર્શ્વર મંદિર પાસે આવેલ રાજેર્શ્વરી સોસાયટીમાં રહેતા અને જેતપુરના સ્ટેન્ડ ચોકમાં આવેલ મહાવીર શોપીંગ સેન્ટરમાં મનીષકુમાર દલસુખભાઈ નામની પેઢી ધરાવતાં ડુંગળી બટેટાના હોલસેલ વેપારી જયદીપભાઈ દલસુખભાઈ કેશરીયા (ઉ.વ.38) નામના લોહાણા વેપારીએ જેતપુર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદીની પત્ની 18થી બિમાર હોય જેતપુરના કણકીયા પ્લોટમાં પરમેશ્વર હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરેલ હતી. જોકે પત્નીની સારવાર માટે પતિ હોસ્પિટલમાં રોકાયા હતાં. ગત તા.22 અને 23નાં બપોરે પિતાજીના ઘરે જમીને પોતાના મકાને આંટો દેવા ગયા ત્યારે મકાનનો મેઈન દરવાજો તુટેલો હતો અને રસોડાનો દરવાજો પણ તુટેલો અને દરવાજામાં બાખોરૂ પાડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કર્યો હતો. વેપારીના બંધ મકાનમાં ઘુસેલા તસ્કરોએ તિજોરી તોડી તેમાંથી ધંધા વેપાર માટે રાખેલા 3.58 લાખની રોકડ, રૂપિયા 3.95 લાખની કિંમતના 15.8 તોલા સોનાના દાગીના મળી કુલ 7.80 લાખની માલમત્તા તસ્કરો ઉઠાવી ગયા હતાં. બનાવ અંગે પોલીસને જાણ થતાં પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરી હતી.




