ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રીશ્રી અનુરાગ ઠાકુરે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતાં કહ્યું હતું કે તેઓ 47 ડિગ્રીની આકરી ગરમીમાં ચૂંટણી પ્રચાર કરવા માટે રોડ શો કરે છે પરંતુ બીમારીના બહાને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મેળવવા માંગે છે. આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર શાબ્દિક પ્રહાર કરતાં કંદરિય મંત્રીશ્રી એ જણાવ્યું હતું કે, તેમનો અસલી ચહેરો ફરી એક વખત ખુલ્લો થઈ ગયો છે. તે લોકો જૂઠું બોલવામાં ખૂબ માહેર છે અને તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે તે 47 ડિગ્રી તાપમાનમાં રોડ શો કરી શકે છે પરંતુ તે અસ્વસ્થ હોવાનું બહાનું કરીને જામીન માંગે છે. આ વાત મીડિયાએ બતાવી અને કોર્ટમાં પણ જાહેર કરી.
આપ નેતા અરવિંદ કેજરીવાલે સુપ્રીમ કોર્ટને સ્વાસ્થ્યના કારણોના આધારે તેમના જામીન વધુ સાત દિવસ વધારવાની વિનંતી કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીએ તેમના વચગાળાના જામીન લંબાવવાનો ઇનકાર કર્યો હતો. સુપ્રીમ કોર્ટની રજિસ્ટ્રીનું કહેવું છે કે કેજરીવાલને ટ્રાયલ કોર્ટમાં જામીન અરજી દાખલ કરવાની સ્વતંત્રતા છે. આનો અર્થ સ્પષ્ટ છે કે કેજરીવાલે 2 જૂન સુધીમાં આત્મસમર્પણ કરવું પડશે. કેજરીવાલે દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે તેમનું વજન અચાનક ઘટી ગયું છે અને તેમનું કીટોન લેવલ “અત્યંત ઊંચુ” છે, જે ગંભીર કિડની, હૃદય રોગ અને કેન્સરનું પણ સંભવિત સૂચક છે. આને ધ્યાનમાં રાખીને, તેમને ‘પીઈટી-સીટી સ્કેન’ સહિત કેટલાક તબીબી પરીક્ષણોમાંથી પસાર થવા માટે તેના વચગાળાના જામીન સાત દિવસ સુધી વધારવાની વિનંતી કરી હતી.
કેજરીવાલે 26 મેના રોજ દાખલ કરેલી તેમની અરજીમાં કહ્યું છે કે તે 2 જૂનને બદલે 9 જૂને આત્મસમર્પણ કરવા માંગે છે, જે કોર્ટ દ્વારા જેલમાં પરત ફરવાની તારીખ નક્કી કરવામાં આવી છે.10 મેના રોજ સુપ્રીમ કોર્ટે કેજરીવાલને લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પ્રચાર કરવા માટે 1 જૂન સુધી 21 દિવસ માટે વચગાળાના જામીન આપ્યા હતા. સર્વોચ્ચ અદાલતે નિર્દેશ આપ્યો હતો કે કેજરીવાલ 2 જૂને આત્મસમર્પણ કરશે. આના એક દિવસ પહેલા એટલે કે 1 જૂને લોકસભા ચૂંટણીના સાતમા અને અંતિમ તબક્કા માટે મતદાન થવાનું છે. અરવિંદ કેજરીવાલની દિલ્હી દારૂ કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
