રાજ્યમાં વરસી રહેલા વરસાદનાં પરિણામે ૪૬ જળાશયો સંપૂર્ણ છલકાતા હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં ૧,૮૦,૫૮૯ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૫૪.૦૬ ટકા જળસંગ્રહ ટકા નોંધાયો છે. જ્યારે આ સિવાય રાજ્યના કુલ ૨૦૬ જળાશયોમાં ૨,૪૦,૬૬૧ એમ.સી.એફ.ટી. એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૪૨.૯૬ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. જળ સંપત્તિ વિભાગના સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ભારે વરસાદના પરિણામે દમણગંગામાં ૫૧,૭૦૮ ક્યુસેક, ઉકાઈમાં ૩૩,૧૬૮ ક્યુસેક અને હિરણ-૨માં ૧૫,૭૮૯ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે.
આ ઉપરાંત રાણા ખીરસરામાં ૧૩,૫૩૦ ક્યુસેક, ભાદર-૨માં ૧૩,૧૭૨ ક્યુસેક, વેણુ-૨માં ૧૨,૯૪૩ ક્યુસેક અને સરદાર સરોવરમાં ૧૧,૧૪૪ ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. રાજ્યના ૨૬ ડેમ ૭૦ ટકાથી ૧૦૦ ટકા ભરાતા એલર્ટ જાહેર કરાયું છે. આ ઉપરાંત સરદાર સરોવર સહિત ૨૬ ડેમ ૫૦થી ૭૦ ટકા ભરાતા વોર્નિંગ આપવામાં આવી છે, જ્યારે ૩૯ ડેમ ૨૫થી ૫૦ ટકા ભરાયા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૫૦.૦૬ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૪૯.૨૩ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૪૬.૧૬ ટકા,મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૩૫.૧૭, તથા ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૨૬.૫૯ ટકા પાણીનો સંગ્રહ થયો છે તેમ જળ સંપત્તિ વિભાગ પાસેથી જાણવા મળ્યું હતું.




