ગાંધીનગરના માણસા તાલુકાના આજોલ ગામમાં ત્રણ વર્ષ અગાઉ સગીરાનુ અપહરણ કરીને યુવાન દ્વારા બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો. બનાવ અંગે ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર સ્પેશિયલ પોક્સો કોર્ટમાં કેસ ચાલ્યો હતો અને સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટ દ્વારા પોક્સોના ગુનામાં આરોપીને ૨૦ વર્ષની સખત કેદની સજાનો હુકમ કરવામાં આવ્યો છે. આ કેસની મળતી વિગતો પ્રમાણે મૂળ બનાસકાંઠાના ભાભર તાલુકાના તેરવાડા ગામના અને વિસનગર ખાતે સવાલા ગામમાં રહેતા યુવાન નિતેશજી બળવંતજી ઠાકોર દ્વારા ત્રણ વર્ષ અગાઉ માણસા તાલુકાના આજોલ ગામમાં રહેતી સગીરાને સગીરાને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરી ગયો હતો.
ત્યારબાદ અલગ અલગ સ્થળોએ તેને લઈને તેની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો હતો. જે સંદર્ભે માણસા પોલીસ મથકમાં યુવાન સામે પોકસો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જે કેસ જે કેસ ગાંધીનગરની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં બીજા એડિશનલ સેશન્સ જજશ્રી એસ.ડી.મહેતાની કોર્ટમાં ચાલ્યો હતો. જ્યાં સરકારી વકીલ સુનિલ.એસ.પંડયા દ્વારા ભોગ બનનાર સગીરા અને અન્ય સાહેદોની જુબાની લેવામાં આવી હતી. ત્યારબાદ વકીલે રજૂઆત કરી હતી કે, ભોગ બનનાર દીકરીની ઉંમર નાની હતી અને તેમ છતાં આરોપી દ્વારા ગંભીર પ્રકારનો ગુનો આચરવામાં આવ્યો છે.
સમાજમાં આ પ્રકારની ઘટનાઓ સતત વધી રહી છે જેના પગલે આરોપીને કાયદામાં દર્શાવવામાં આવેલી સખતમાં સખત સજા કરવામાં આવે. જેના પગલે કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને આરોપી નિતેશજી બળવંતજી ઠાકોરને બળાત્કાર અને પોક્સો એક્ટની કલમ હેઠળ ૨૦ વર્ષની સખત કેદની સજા કરવામાં આવી છે અને ૧૪ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. એટલું જ નહીં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને સગીરાને ૬ લાખ રૂપિયા વળતર ચૂકવવા પણ હુકમ કરવામાં આવ્યો છે.




