નવસારી તાલુકાના નિચાણવાળા વિસ્તારોમાં સ્થાનિક વરસાદ તથા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે સંભવિત પુરની પરિસ્થીતીનું નિર્માણ થવાની સંભાવના થઇ રહી છે. જે અન્વયે સમગ્ર નવસારી જિલ્લા તંત્ર એક્ટીવમોડમાં આવી ગયું છે. નવસારી જિલ્લાને લગતી નદીઓના જળસ્તરમાં સતત વધારો થઇ રહ્યો છે. જેને લઇ એસ.ડી.આર.એફની ટીમ તથા સ્થાનિક વહીવટી ટીમ દ્વારા નવસારી તાલુકાના પુર સંભવિત વિસ્તારો તથા આશ્રયસ્થાનની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં નવસારી શહેર મામલતદાર, નાયબ મામલતદાર પુર રાહત, સર્કલ ઓફિસર, તથા એસડીઆરએફ પીએસઆઇ તથા તેમની ટીમના પાંચ સભ્ય સાથે નવસારી શહેરના પુર સંભવિત વિસ્તારોમાં કાલિયાવાડી વિસ્તારમાં સ્વપ્ન લોક સોસાયટી, કાલીયાવાળી મહિલા આઈ.ટી.આઈ, કાછીયાવાડી, સી.આર.પાટીલ સંકુલ, શાંતિવન સોસાયટીની સ્થળ મુલાકાત લીધી હતી. આ સાથે વેરાવળ વિસ્તારમાં ભેસતખાડા માછીવાડ, ગધેવાન મોહલ્લો વિરાવળ, રંગૂનનગર, કમેલા દરવાજા, કાશીવાડી, મીથીલા નગરી, રૂસ્તમવાળી વિસ્તારની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન વિસ્તારમાં શાંતાદેવી, પ્રકાશ ટોકીઝ ગરનાળુ, રાયચંદ રોડ, બંદર રોડ જેવા વિવિધ વિસ્તારોનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન જરૂરી સમીક્ષા કરી નજીકના ઉંચાઇવાળા સ્થળો, આશ્રિતોને સ્થળાંતર કરવાની જગ્યાઓ, અસરગ્રસ્ત જનસંખ્યા, બચાવના સંસાધનો જેવી બાબતો અંગે જરૂરી ચર્ચા કરવામાં આવી હતી.
