થાણે જિલ્લામાં 2022માં માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવનારા પોલીસ કોન્સ્ટેબલના પરિવારને 1.12 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ થાણેની મોટર એક્સિડેન્ટ ક્લેઈમ્સ ટ્રિબ્યુનલે (એમએસીટી) મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (એમએસઆરટીસી)ને આપ્યો હતો.શુક્રવારે અપાયેલા આદેશમાં ટ્રિબ્યુનલના સભ્ય આર. વી. મોહિતેએ એમએસઆરટીસીને વાર્ષિક નવ ટકાના વ્યાજ સાથે વળતરની રકમ ચૂકવવાનો નિેર્દેશ આપ્યો હતો. મુંબઈ પોલીસમાં ફરજ બજાવતો ગિરીશ અશોક હરડ (30) તેના સ્કૂટર પર નાઈટ ડ્યૂટી પર જોડાવા જઈ રહ્યો હતો. બદલાપુર બાજુથી મુરબાડ તરફ પૂરપાટ વેગે જઈ રહેલી એસટી બસે થાણે જિલ્લાના સોનાવલે ગામ નજીક હરડના સ્કૂટરને ટક્કર મારી હતી. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા હરડનું સારવાર દરમિયાન કલ્યાણની હૉસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
અકસ્માત પ્રકરણે કુળગાંવ પોલીસે એસટી બસના ડ્રાઈવર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ એફઆઈઆર નોંધ્યો હતો અને બાદમાં કોર્ટમાં આરોપનામું દાખલ કર્યું હતું. ઘટના બની તે સમયે હરડનો માસિક પગાર 58,822 રૂપિયા હતો. તેની આવક પર પત્ની, સગીર પુત્રી, વડીલો અને અપરિણીત બહેન નભતાં હતાં.એમએસઆરટીસી વતીલ એડ્વોકેટ એચ. પી. પાટીલે દલીલ કરી હતી કે મૃતકની બેદરકારીથી જ અકસ્માત થયો હતો. એસટી યોગ્ય બાજુથી જતી હતી, પરંતુ સામેની દિશામાં આવેલું સ્કૂટર પૂરપાટ વેગે હતું. સ્કૂટર સ્લિપ થવાને કારણે બસ સાથે અથડાયું હતું.
ક્લેઈમ કરનારા વતી વકીલ એમ. એ. પેંડસેએ એઆઈઆર, ઘટનાસ્થળનું પંચનામું, પોસ્ટમોર્ટમનો અહેવાલ અને આરોપનામા સહિતના પુરાવાર રજૂ કર્યા હતા.ટ્રિબ્યુનલે નોંધ્યું હતું કે અકસ્માતના સમયે રસ્તો ભીનો હતો, જેનો અર્થ એ છે કે અકસ્માત સમયે અથવા તે પહેલાં વરસાદ વરસ્યો હતો. આવી સ્થિતિમાં બન્ને ડ્રાઈવરોએ તેમનાં વાહનો ચલાવતી વખતે સાવચેતી રાખવી અપેક્ષિત હતી. અકસ્માત માટે બન્ને ડ્રાઈવરની બેદરકારી જવાબદાર હતી, જેમાં કોન્સ્ટેબલની 20 ટકા અને બસ ડ્રાઈવરની 80 ટકા બેદરકારી હતી.
