વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઓગસ્ટના અંતમાં ગુજરાતની મુલાકાતે આવશે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીએમ મોદી 24-25 અથવા 25-26 ઓગસ્ટના રોજ બે દિવસ માટે ગુજરાતમાં રહેશે. પ્રવાસ દરમિયાન તેઓ અમદાવાદમાં પાટીદારોની બહુમતી ધરાવતાં નિકોલ વિસ્તારમાં જાહેર સભાને સંબોધશે. આ ઉપરાંત, તેઓ બેચરાજી અને વડનગરમાં પણ કાર્યક્રમોમાં હાજરી આપશે.પીએમના પ્રવાસને લઈને સરકારી તંત્રએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગાંધીનગરમાં ઉચ્ચ અધિકારીઓની બેઠક પણ યોજાઈ હતી. નિકોલમાં યોજાનારી જાહેર સભા રાજકીય રીતે પણ મહત્ત્વની માનવામાં આવે છે, કારણ કે આગામી ડિસેમ્બર કે જાન્યુઆરી મહિનામાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. પૂર્વ અમદાવાદમાં આ સભાનું આયોજન થવાથી નરોડા, ઠક્કરબાપાનગર, નિકોલ અને દસ્ક્રોઈ જેવી વિધાનસભા બેઠકો પર તેની અસર જોવા મળી શકે છે.

વડા પ્રધાન મોદી ગુજરાતના પ્રવાસ દરમિયાન બેચરાજી અને વડનગર જશે. વડનગરમાં તેઓ મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ હબનું ઉદ્ઘાટન કરી શકે છે. જ્યારે બેચરાજીમાં તેઓ સુઝુકી મોટર્સના પ્લાન્ટની મુલાકાત લેશે અને ત્યાં કંપનીના નવા બેટરીથી ચાલતા વાહનોના પ્રોડક્શન યુનિટનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે.વડા પ્રધાન નરેન્દ્ર મોદી છેલ્લે મે 2025માં ગુજરાતના પ્રવાસે આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન તેમણે દાહોદ, ભુજ અને ગાંધીનગરમાં વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરવાના કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત, તેમણે ગુજરાત અર્બન ગ્રોથ સ્ટોરીના 20 વર્ષની ઉજવણીમાં પણ ભાગ લીધો હતો.



