જ્યારે દેશની સૌથી મોટી એરલાઇન, ઈન્ડિગોની સિસ્ટમ ખોરવાઈ ગઈ, ત્યારે હજારો મુસાફરોને એરપોર્ટ પર કલાકો સુધી રાહ જોવાની ફરજ પડી અને ઘણા લોકો તેમના ગંતવ્ય સ્થાનો સુધી પહોંચી શક્યા નહીં. આ ઈમરજન્સીએ એક કઠોર વાસ્તવિકતા ઉજાગર કરી. ભારતીય ઉડ્ડયન ક્ષેત્ર પર મુઠ્ઠીભર ખેલાડીઓનું વર્ચસ્વ છે. ત્યારે હવે સારા સમાચાર સામે આવ્યા છે.
કેન્દ્ર સરકારે આ એકાધિકાર તોડવા અને મુસાફરોને વધુ સારા ઓપ્શન પૂરા પાડવા તરફ એક મોટું પગલું ભર્યું છે. સરકારે બે નવી એરલાઇન્સ, અલ હિંદ એર અને ફ્લાય એક્સપ્રેસને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) જાહેર કર્યા છે. આનો અર્થ એ છે કે ભવિષ્યમાં તમારે એર ટિકિટ બુક કરવા માટે ફક્ત એક કે બે કંપનીઓ પર આધાર રાખવો પડશે નહીં.હાલમાં બે મુખ્ય કંપનીઓ ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રભુત્વ ધરાવે છે: ઈન્ડિગો અને ટાટા ગ્રુપ (એર ઇન્ડિયા). આંકડા દર્શાવે છે કે લગભગ 90% સ્થાનિક મુસાફરો આ બે કંપનીઓની સેવાઓનો ઉપયોગ કરે છે. તેથી, જ્યારે કોઈ એક એરલાઈન સમસ્યાનો સામનો કરે છે, ત્યારે આખી સિસ્ટમ ખોરવાઈ જાય છે અને સામાન્ય માણસને તેનો ભોગ બનવું પડે છે. આ જોખમ ઘટાડવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ પગલાં લીધાં છે.તેમણે જણાવ્યું હતું કે સરકાર બજારમાં સ્વસ્થ સ્પર્ધાને પ્રોત્સાહન આપવા માટે નવી એરલાઈન્સને પ્રોત્સાહિત કરી રહી છે. ગયા અઠવાડિયામાં મંત્રાલયે 3 નવી કંપનીઓની ટીમો સાથે મુલાકાત કરી છે. મંત્રીનું આ પગલું સ્પષ્ટપણે દર્શાવે છે કે સરકાર હવે બજારમાં નવા વિકલ્પો બનાવવા માગે છે, જેથી જનતાને મનસ્વી ભાડા અને વિલંબથી રાહત મળી શકે. જે બે કંપનીઓને લીલીઝંડી મળી છે, તેમનું બેકગ્રાઉન્ડ ખુબ જ રસપ્રદ છે. અલ હિન્દ એર કેરળ સ્થિત અલ હિન્દ ગ્રુપનો ભાગ છે, જે પહેલાથી જ ટ્રાવેલ અને ટુરિઝમ ક્ષેત્રમાં એક મુખ્ય ખેલાડી છે. ફ્લાય એક્સપ્રેસ હૈદરાબાદ સ્થિત કંપની છે જેને કુરિયર અને કાર્ગો સેવાઓનો અનુભવ છે.
વધુમાં, શંખ એરને પહેલેથી જ તેનું NOC મળી ગયું છે. શંખ એર ઉત્તર પ્રદેશના મુખ્ય શહેરો, જેમ કે લખનૌ, વારાણસી, આગ્રા અને ગોરખપુરને જોડવાની યોજના ધરાવે છે. આનો અર્થ એ છે કે નાના શહેરો (ટાયર 2 અને ટાયર 3) ના મુસાફરો માટે કનેક્ટિવિટી ભવિષ્યમાં સુધરશે. સ્ટાર એર અને ફ્લાય91 જેવી નાની એરલાઇન્સ સરકારની UDAN યોજના હેઠળ પહેલેથી જ પોતાની છાપ છોડી રહી છે અને આ નવા ખેલાડીઓ તેમના સંચાલનને વધુ વેગ આપશે.



