કેરળનાં મલપ્પુરમની એક ખાનગી હોસ્પિટલમાં નિપાહ વાયરસના ચેપથી 24 વર્ષીય યુવાનનું મૃત્યુ થયું હતું. આ વર્ષે રાજ્યમાં નિપાહ વાયરસના પ્રથમ કેસની પુષ્ટિ થઈ છે, ત્યારે કેરળના આરોગ્ય મંત્રી વીણા જ્યોર્જે રવિવારે જણાવ્યું હતું કે, ‘પ્રાદેશિક તબીબી અધિકારીએ મૃત્યુના કારણની તપાસ કર્યા પછી નિપાહ સંક્રમણની શંકા હતી. ઉપલબ્ધ સેમ્પલને તરત જ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા અને પરિણામે સંક્રમણની પુષ્ટિ કરી હતી. મળતી માહિતી પ્રમાણે, બેંગલુરુથી કેરળ પહોંચેલા મલપ્પુરમ નિવાસીનું 9 સપ્ટેમ્બરના રોજ મૃત્યુ થયું હતું.
ત્યારબાદ તેના ઉપલબ્ધ સેમ્પલને પરીક્ષણ માટે કોઝિકોડ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. મલપ્પુરમના આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે, ‘મેડિકલ કોલેજના પરિણામોમાં સંક્રમણ જોવા મળ્યું હતું, જેના પગલે આરોગ્ય મંત્રીએ શનિવારે રાત્રે જ એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને પ્રોટોકોલ મુજબ જરૂરી પગલાં લીધા હતા. આ દરમિયાન રવિવારે પુણે સ્થિત નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીના (NIV) પરિણામોમાં વાયરસની પુષ્ટિ થઈ હતી. મંત્રીએ કહ્યું કે, ‘શનિવારે રાત્રે જ 16 સમિતિઓની રચના કરવામાં આવી હતી અને સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા 151 લોકોની યાદી પણ બનાવવામાં આવી હતી. તે વ્યક્તિ તેના મિત્રો સાથે વિવિધ સ્થળોએ ગયો હતો અને તેના સંપર્કમાં આવેલા લોકોને આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે.




