નોર્થ ઈસ્ટ દિલ્હીના વેલકમ વિસ્તારમાં જનતા મજૂર કોલોનીમાં એક ચાર માળની ઈમારત ધરાશાયી થઈ ગઇ હતી. દુર્ઘટના સમયે ઈમારતમાં ઘણાં લોકો હાજર હતા જેમાંથી 12 લોકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા. ફાયર ફાઈટર વિભાગના અહેવાલ અનુસાર, અત્યાર સુધી 6 લોકોને સુરક્ષિત કાટમાળથી બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તેમને હોસ્પિટલ ખસેડાયા છે.
જ્યારે 5થી 6 લોકો હજુ પણ દટાયેલા હોવાની જાણકારી છે. રાહત અને બચાવ કામગીરી ઝડપથી ચાલી રહી છે. જોકે આ વિસ્તાર અત્યંત ગીચ વસતી અને સાંકડી શેરીઓ વાળું છે એટલા માટે રેસ્ક્યૂમાં મુશ્કેલી થઇ રહી છે. ઘટના સ્થળે ફાયર ફાઈટર્સની 7 ગાડીઓ પહોંચી હતી અને સ્થાનિક પોલીસ તથા રાહત બચાવ ટુકડી સાથે મળીને કાટમાળ હટાવવા પ્રયાસ કરી રહી છે. હાલ દુર્ઘટનાનું સ્પષ્ટ કારણ જાણી શકાયું નથી. પરંતુ એવું કહેવાય છે કે, આ ઈમારત જર્જરિત થઇ ચૂકી છે જેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી.
