ભારત અને સેશેલ્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. નવી દિલ્હીના હૈદરાબાદ હાઉસ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સેશેલ્સના પ્રમુખ પેટ્રિક હર્મિની વચ્ચે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠકમાં વ્યૂહાત્મક ભાગીદારી અને દરિયાઈ સુરક્ષાને લઈને ચર્ચા કરવામાં આવી હતી. બંને નેતાઓની ઉપસ્થિતિમાં અનેક મહત્ત્વના MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે આગામી સમયમાં સંરક્ષણ, અર્થતંત્ર અને તકનીકી ક્ષેત્રે બંને દેશોના સહયોગને નવી ઊંચાઈએ લઈ જશે. આ બેઠક હિન્દ મહાસાગર ક્ષેત્રમાં ભારતના પ્રભુત્વ અને ‘ગ્લોબલ સાઉથ’ના મજબૂત નેતૃત્વની દિશામાં એક મોટું કદમ માનવામાં આવી રહ્યું છે. ઑક્ટોબર 2025માં સત્તા સંભાળ્યા બાદ પેટ્રિક હર્મિનીની આ પ્રથમ ભારત મુલાકાત છે, જે ભારત અને સેશેલ્સ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 50 વર્ષ પૂર્ણ થવાના અવસરે યોજાઈ રહી છે.
આ બેઠક પહેલાં તેમણે રાજઘાટ ખાતે મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરે પણ તેમની સાથે મુલાકાત કરી હતી અને ભારતના ‘વિઝન મહાસાગર'(MAHASAGAR) પ્રત્યેના સેશેલ્સના સમર્થનની પ્રશંસા કરી હતી. 
નવી દિલ્હીમાં રોકાણ દરમિયાન તેઓ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ સાથે પણ મુલાકાત કરશે અને પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર મંતવ્યોનું આદાનપ્રદાન કરશે. ચેન્નાઈની મુલાકાત દરમિયાન પેટ્રિક હર્મિનીએ સેશેલ્સના સ્વાસ્થ્ય મંત્રી સાથે મળીને આરોગ્ય સેવાઓ સુધારવા માટે ચર્ચાઓ કરી હતી, જેમાં સુપર-સ્પેશિયાલિટી આઉટરીચ, હૉસ્પિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સસ્તી દવાઓ પૂરી પાડવા જેવા મુદ્દાઓ સામેલ હતા. તો બીજી તરફ મુંબઈમાં તેમણે કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલ સાથે મુલાકાત કરી અને ‘ઇન્ડિયા-સેશેલ્સ બિઝનેસ રાઉન્ડ ટેબલ’માં ભાગ લીધો હતો. આ બેઠકમાં બ્લુ ઈકોનોમી, દરિયાઈ વેપાર અને ટકાઉ વિકાસના ક્ષેત્રમાં રોકાણની તકો શોધવા પર ભાર મૂકવામાં આવ્યો હતો.



