અમદાવાદના વસ્ત્રાપુરમાં સુભાષ પાર્ક પાસે મંગળવારે લાલા પટેલ નામનો શ્રમિક ગટર સાફ કરવા માટે અંદર ઉતર્યો હતો. એક ખાનગી સોસાયટી દ્વારા શ્રમિકને ગટર સાફ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. શ્રમિક ગટર સાફ કરતો હતો તે દરમિયાન સાંજે 6 વાગ્યાની આસપાસ તેનું ગેસ ગળતરના કારણે શ્રમિકનો શ્વાસ રૂંધાયો અને તેનું મોત નિપજ્યું હતું. 
ફાયરની ટીમ દ્વારા શ્રમિકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, મૃતક શ્રમિક કોર્પોરેશનનો કર્મચારી હતો. ત્યારે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, કોર્પોરેશન દ્વારા શ્રમિકને સુરક્ષાના સાધનો પૂરા પાડવામાં કેમ નહતાં આવ્યા? ક્યાં સુધી વિકસિત અમદાવાદને સુંદર બનાવી રાખનારા સફાઈ કામદારો સુરક્ષાના અભાવે મોતના મોંમાં ધકેલાતા રહેશે. બનાવ અંગે હાલ પોલીસે તપાસ હાથ ધરી હતી.




