ગાંધીનગરના દહેગામના નહેરુ ચોકડી નજીક મોપેડ ઉપર પસાર થઈ રહેલા માતા પુત્રીને પુરઝડપે જઈ રહેલા ટ્રકે અડફેટે લીધા હતા. જે અકસ્માતની ઘટનામાં માતાનું મોત થયું હતું. આ ઘટના અંગે દહેગામ પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરવામાં આવી છે. 
આ અકસ્માતની ઘટના સંદર્ભે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે કલોલ ખાતે વ્હાઇટ હાઉસ ટેનામેન્ટમાં રહેતા દિવ્યાબેન દિનેશભાઈ પંચાલ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, તેમના માતા ગીતાબેન અને પુત્ર દિવ્યાંશ છેલ્લા ૧૫ દિવસથી દહેગામ ખાતે રહેતા તેમના માસી શમાબેનના ઘરે રહેવા માટે આવ્યા હતા જેથી તેઓ તેમને લેવા માટે મોપેડ લઈને દહેગામ ખાતે ગયા હતા. આ દરમિયાન તે તેમની માતા અને તેમનો પુત્ર સાંજના સમયે દહેગામ નેહરુ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા.
તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલા ટ્રક ચાલક દ્વારા તેમના મોપેડને અડફેટે લેવામાં આવ્યું હતું અને તેના કારણે તે અને તેમના પુત્ર રોડ સાઈડમાં પડયા હતા જ્યારે તેમના માતા ગીતાબેન રોડ ઉપર પડયા હતા. આ દરમિયાન ટ્રકનું પાછળનું ટાયર તેમના ઉપરથી ફરી વળ્યું હતું. આ અકસ્માતની ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતા તેમને તાત્કાલિક સારવાર માટે દહેગામના સરકારી દવાખાને લઈ જવામાં આવ્યા હતા પરંતુ શરીરે ગંભીર ઇજાઓને કારણે તેમની માતા ગીતાબેનનું મોત થયું હતું. જેથી આ ઘટના અંગે હાલ દહેગામ પોલીસ દ્વારા ટ્રકના ચાલક સામે ગુનો દાખલ કરીને તેની ધરપકડ માટે દોડધામ શરૂ કરવામાં આવી હતી.




