દુનિયા એઆઈના યુગમાં પ્રવેશી રહી છે ત્યારે ભારતમાં વિશ્વની સૌથી મોટી એઆઈ ઈમ્પેક્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે. આ સમિટના બીજા દિવસે વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એઆઈના ઉપયોગ સામાન્ય જનતા અને બધા માટે કેવી રીતે કરી શકાય તે જાણવા માટે આ સમિટનું આયોજન કરાયું છે.
બીજી બાજુ દિલ્હીમાં ભારત મંડપમમાં ચાલી રહેલી ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટમાં અનેક પ્રકારની જાહેરાતો થઈ રહી છે. આવી જ એક જાહેરાતમાં કહ્યું છે કે તેઓ બેંગ્લુરુમાં દુનિયાનું પહેલું હ્યુમેનિટી-ફર્સ્ટ એઆઈ સિટી બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોસ્ટ કરતા જણાવ્યું કે, બુદ્ધિમતા, તર્કસંગતતા અને નિર્ણય લેવાની ક્ષમતા વિજ્ઞાાન ઓને ટેક્નોલોજીને જનતા માટે ઉપયોગ બનાવે છે. 
ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટનો આશય એ જાણવાનો છે કે એઆઈનો ઉપયોગ બધાના લાભ માટે કેવી રીતે કરી શકાય છે. એઆઈનો ઉપયોગ માણસોના ભલા માટે કરવો જોઈએ. માત્ર ટેક્નોલોજી નહીં બુદ્ધિમતા, સમજદારી અને સાચા નિર્ણયોથી જ એઆઈ જનતા માટે લાભદાયક બની શકે છે. તેમણે ઉમેર્યું કે, આ સમિટ આઈડિયા, ઈનોવેશન અને ઈન્ટેન્ટનું મિલન સ્થળ છે. ભારતની ટેલેન્ટ દુનિયા અને માનવતાની ભલાઈના એઆઈ બનાવી રહ્યું છે. ભારત એઆઈના જવાબદારીપૂર્ણ અને સમાવેશક ઉપયોગ માટે કટિબદ્ધ છે. આ સમિટમાં અનેક જાહેરાતો થઈ રહી છે.
ત્યારે એઆઈના સીઈઓ ઉમાકાંત સોનીએ જાહેરાત કરી છે કે કંપની બેંગ્લુરુમાં દુનિયાનું પહેલું હ્યુમેનિટી ફર્સ્ટ એઆઈ સિટી બનાવશે. આ કંપની રોબોટ અને એઆઈ સાથે સંકળાયેલી સિસ્ટમ મોડેલનું નિર્માણ કરશે, જેની સાથે સંકલાયેલા અનેક ટેસ્ટ કરશે, જેથી મોટાપાયે તેનો ઉપયોગ કરતા પહેલા તપાસ થઈ શકે. એઆઈને વાસ્તવિક દુનિયામાં લાવતા પહેલા મોટા પાયે તેની તપાસ જરૂરી છે.
દરમિયાન આ સમિટના ઉદ્ધાટનના દિવસે સોમવારે ભારે અવ્યવસ્થાના કારણે સમિટ કમ એક્સ્પોમાં ભાગ લેવા આવેલા એક્ઝિબિટર્સ અને જોવા આવેલા લાખો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. પીએમ મોદી એક્સ્પોનું ઉદ્ધાટન કરવાની સાથે વિવિધ પેવેલિયનની મુલાકાત લેવાના હોવાથી લોકોએ કલાકો સુધી બહાર ઊભા રહેવું પડયું હતું. આ સિવાય સુરક્ષાના કારણોસર ઈવેન્ટનો આખો વિસ્તાર ખાલી કરાવાયો હતો. એવામાં એક સ્ટાર્ટઅપ નીઓ સેપિયનના સીઈઓ ધનંજય યાદવે આ સમયમાં તેમના સ્ટોલમાંથી તેમના વેરેબલ્સ ચોરાઈ ગયા હોવાની એક્સ પર ફરિયાદ કરી હતી. આ બાબતો પર ભારે હોબાળો થતા કેન્દ્રીય આઈટી મંત્રી અશ્વિની વૈષ્ણવે એક્ઝિબિટર્સ સહિત લોકોની માફી માગી હતી.



