મહારાષ્ટ્ર રાજ્યનાં નાસિકથી આઈસર ટેમ્પોમાં માલધારીઓ પાલતુ પશુઓ ગાય ભેંસ ભરીને પોતાના વતન સુરેન્દ્રનગર તરફ જઈ રહ્યા હતા તે વેળા સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગના સાપુતારા ઘાટમાર્ગના વળાંકમાં ચાલકે અચાનક સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવી દેતા સ્થળ પર આઈસર ટેમ્પો માર્ગની સાઈડની સંરક્ષણ દીવાલ સાથે અથડાઈને પલટી મારી ગઈ હતી. ટેમ્પોમાં ભરેલા અબોલ પશુઓને નાની મોટી ઈજા થઈ હતી. 
આ બનાવની જાણ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.ને થતા તેઓની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ટેમ્પોમાંથી માલધારી પરિવારના સભ્યો સહિત ગાય ભેંસનું રેસ્ક્યુ કરી ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. સાથે જ પશુઓ માટે ઘાસચારો અને પીવાના પાણીની વ્યવસ્થા કરી સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું હતું. બનાવમાં આઈસર ટેમ્પોને જંગી નુકસાન થયું હતું. જ્યારે તેમાં સવાર માલધારીઓનાં ત્રણ બાળકોને નાની મોટી ઈજાઓ પહોંચતા તેઓને તાત્કાલિક સારવારનાં અર્થે નજીકની શામગહાન સી.એચ.સી. ખાતે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. જ્યારે ઈજાગ્રસ્ત પશુઓ માટે પણ પશુ ચિકિત્સકની વ્યવસ્થા કરવામાં આવી હતી. બનાવ અંગે સાપુતારા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.



