મહારાષ્ટ્રના તત્કાલીન નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પ્લેન ક્રેશની દુર્ઘટના વધુ જટિલ બની રહી છે. એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરોએ જણાવ્યું છે કે, બારામતી એરપોર્ટ પર દુર્ઘટનાગ્રસ્ત થયેલા લિયરજેટ વિમાનના બંને ઇન્ડિપેન્ડન્ટ બ્લેક બોક્સ આગમાં સંપૂર્ણપણે બળી ગયા છે. AAIB એ કોકપિટ વોઈસ રેકોર્ડરમાંથી ડેટા મેળવવા માટે બ્લેક બોક્સ બનાવતી કંપનીની વિશેષ સહાય માંગી છે. AAIBના જણાવ્યા અનુસાર, વિમાનમાં બે પ્રકારના રેકોર્ડર હતા, જેમાં ડિજિટલ ફ્લાઇટ ડેટા રેકોર્ડર : L3-કોમ્યુનિકેશન્સ દ્વારા નિર્મિત આ રેકોર્ડરનો ડેટા AAIBની લેબોરેટરીમાં સફળતાપૂર્વક ડાઉનલોડ કરવામાં આવ્યો છે. તે વિમાનની ગતિ, ઊંચાઈ અને દિશા જેવા ટેકનિકલ માપદંડોની વિગત આપે છે, જયારે બીજું કોકપિટ વોઈસ રેકોર્ડર : હનીવેલ દ્વારા નિર્મિત આ રેકોર્ડરની તપાસ હજુ ચાલુ છે. 
પાયલોટો વચ્ચેની વાતચીત અને એર ટ્રાફિક કંટ્રોલર સાથેના સંવાદને પુનઃપ્રાપ્ત કરવા માટે ઉત્પાદક દેશના નિષ્ણાતોની મદદ લેવામાં આવી છે. દુર્ઘટનામાં વિમાનનો પાછળનો હિસ્સો સલામત દેખાતો હોવા છતાં બ્લેક બોક્સ કેવી રીતે બળી ગયા, તે અંગે અનેક સવાલો ઉભા થયા છે. એર સિક્યુરિટી એક્સપર્ટ્સ સમગ્ર મામલે સવાલો ઉઠાવી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, બ્લેક બોક્સ ઉચ્ચ તાપમાન અને દબાણ સહન કરવા માટે ધાતુના કવચમાં સુરક્ષિત હોય છે, તો પછી આ કિસ્સામાં તે કેવી રીતે ક્ષતિગ્રસ્ત થયા તે પણ એક મોટો સવાલ છે. સંજય રાઉત તેમણે CVRને થયેલા નુકસાનને રહસ્યમય ગણાવતા કહ્યું કે આ બાબત અત્યંત ગંભીર છે. રોહિત પવાર તેમણે આક્ષેપ કર્યો છે કે કંપનીના ભૂતપૂર્વ કર્મચારીઓ પાસેથી મળેલી માહિતી મુજબ, વીએસઆર વેન્ચર્સ મોટાભાગની ફ્લાઇટ્સમાં નિયમિતપણે CVR બંધ રાખતી હતી, જે ગેરકાનૂની છે. જોકે તપાસના નિયમો મુજબ, અકસ્માતના 30 દિવસની અંદર આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠનને પ્રારંભિક રિપોર્ટ સુપરત કરવો પડશે. ભારત સરકાર નક્કી કરશે કે આ રિપોર્ટ જાહેર કરવો કે ગુપ્ત રાખવો.



