મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નાગપુરમાં અફવાઓના કારણે રાત્રે ફાટી નીકળેલી હિંસાની ટીકા કરી છે. તેમજ આ હિંસા પૂર્વ આયોજિત હોવાનું ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. મહારાષ્ટ્ર વિધાનસભામાં નાગપુર હિંસા મુદ્દે બોલતાં મુખ્યમંત્રી ફડણવીસે જણાવ્યું કે, પોલીસ પર હુમલો અમે ક્યારેય સહન કરીશું નહીં. વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળે પ્રદર્શન કર્યું, ત્યારબાદ અફવાઓ ફેલાઈ અને ધાર્મિક સામગ્રીને આગ ચાંપવામાં આવી.

તેમણે ઔરંગઝેબની કબર દૂર કરવાની માંગ સાથે દેખાવો કર્યા હતાં. જોકે અચાનક આ વિરોધ હિંસામાં પરિણમ્યો હતો. આ વિરોધ પ્રદર્શન દરમિયાન ટોળાએ કથિત રીતે મુઘલ સમ્રાટનું પૂતળું બાળ્યું હતું, પરંતુ આ ઘટનાથી પવિત્ર ગ્રંથનું અપમાન થયુ હોવાની અફવાઓ ફેલાઈ હતી. જેના લીધે હિંસા ફાટી નીકળતાં અનેક પોલીસકર્મીઓ ઘવાયા હતા. અનેક વાહનો ભડકે બાળ્યા હતાં. આ અફવા સોશિયલ મીડિયા પર 80થી 100 લોકોના ગ્રૂપે ફેલાવી હતી. હિંસામાં ડીસીપી પર કુહાડીથી હુમલો કરવામાં આવ્યો હતો.



