અમદાવાદ શહેરના વટવા વિસ્તારમાં આવેલ શ્યામાપ્રસાદ મુખરજીનગરના ચાર માળિયામાં મોડી રાત્રે ખૂની ખેલ ખેલાયો હતો જેમાં અંગત અદાવતમાં એક યુવકની ઘાતકી હત્યા કરવામાં આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર થઈ જવા પામી છે. મળતી માહિતી અનુસાર, વટવા વિસ્તારમાં રહેતા મોહમદશકીલ નામના યુવક પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. 
આરોપી આસીફ શેખે મોહમદશકીલ સાથે બોલાચાલી કરી હતી અને ત્યારબાદ મામલો ઉગ્ર બનતા હુમલો કર્યો હતો. હુમલાખોરે યુવકને ડાબા પગના સાથળના ભાગે છરીના ઘા ઝીંક્યા હતા અને માથાના ભાગે ઈંટો વડે હુમલો કરતા યુવક લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યો હતો. સમગ્ર ઘટનાની જાણ થતા જ મૃતકની માતા અને ભાઈ સહિતનો પરિવાર ઘટના સ્થળે દોડી આવ્યો હતો. હાલમાં આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે અને પોલીસે આસીફ શેખની ધરપકડ કરીને આ ગુન્હામાં સંડોવાયેલા અન્ય ઈસમો સામે તપાસ શરૂ કરી હતી.



