સુરતના જીલ્લાનાં કામરેજ તાલુકાનાં તરુણનો મૃતદેહ રહસ્યમય રીતે સચિન નહેરમાંથી મળી આવ્યો હતો. તરુણ શનિવારે કામ પરથી છૂટયા બાદ ઘરે પહોંચ્યો ન હતો જેથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી અને બીજી બાજુ રવિવારે સવારે તેનો મૃતદેહ સચિન નહેરમાંથી મળી આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મૂળ ઉત્તરપ્રદેશનાં વતની પ્રદીપ ચોબે હાલ કામરેજના હલદરગામ ખાતે આવેલી પ્રથમ રેસિડેન્સીમાં પત્ની તેમજ બે સંતાન સાથે રહે છે.
તે મજૂરીકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમનો 15 વર્ષીય પુત્ર નિવેશ હાલ ધોરણ-9ની પરીક્ષા આપી ધોરણ-10માં આવ્યો હતો. હાલ તેની સ્કૂલમાં વેકેશન ચાલી રહ્યું છે. જેથી તે ઘર નજીક ગેરેજમાં કામ શીખવા માટે જતો હતો. જોકે સવારે સાઇકલ લઈને કામ ઉપર ગયો હતો. ત્યારબાદ કામ પરથી તે ઘરે પરત આવ્યો ન હતો. જેથી પરિવારજનોએ તેની શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન રવિવારે સવારે સચિન નજીક મોહિણી ગામના મચ્છી તળાવ પાસે નહેરમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો.
જેથી સચિન પોલીસે ઘટના સ્થળે દોડી જઇને તપાસ કરતા તે મૃતદેહ નિવેશનો હોવાનું સામે આવ્યું હતું. બનાવને પગલે સચિન પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી હતી. જોકે બનાવને પગલે નિવેશના પરિવારે હત્યા થઈ હોવાની વાત કરી રહ્યા હતા. પરંતુ પોલીસે પાણીમાં ડૂબી જતાં તેનું મોત થયું હોવાની વાત કરી વધુ તપાસ હાથ ધરી હતી અને જોકે અત્યાર સુધી તેની સાઇકલ મળી આવી નથી.




