દાહોદનાં ધાનપુર તાલુકા ઉદલ મહુડા તળાવમાં અંદરપુરા ગામના બે તરૂણનાં ડુબી જતા મોત નિપજયા હતાં. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગતરોજ કેટલાંક તરૂણો તેમજ યુવકો ધાનપુરના ઉદલ મહુડા વિસ્તારમાં પશુઓ ચરાવવા માટે ગયાં હતાં ત્યારે અંદરપુરા ગામના ઝરી ફળિયામાં રહેતા બારીયા ઈન્દ્રજીત અભેસિંગ તેમજ બારીયા હાર્દિક વિજયભાઈ (ઉ.વ.આશરે 9) પણ પશુઓ ચરાવવા ગયાં હતાં.
ત્યારે બપોરે ઈન્દ્રજીત તેમજ હાર્દિક બંને તરૂણો તેમના સહ મિત્રોને પોતે તળાવમાં નાહવા જાય છે, તેમ કહીને નાહવા ગયા હતાં. ત્યાર પછી તેઓ બંને મોડી સાંજ સુધી પરત ન આવતાં અન્ય મિત્રોએ તેમની શોધખોળ હાથ ધરતાં બંને મિત્રો મળ્યા ન હતાં. જેથી બંને તળાવમાં તપાસ કરતાં બંને તરૂણો તળાવમાં જ ડુબી ગયાં હોવાનું જણાયું હતું. તપાસ કરતાં બંને તરૂણોના મૃતદેહો મળી આવ્યાં હતાં. જેની જાણ બંને તરૂણોના પરિવારજનોને કરવામાં આવતાં પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં. ઘટનાની પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. આ અંગેની જાણ સ્થાનીક પોલીસને કરવામાં આવતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે બંને તરૂણોના મૃતદેહને નજીકના દવાખાને પીએમ માટે રવાના કરી દેવામાં આવ્યાં હતાં. આ સંબંધે ધાનપુર પોલીસે અકસ્માત મોતના ગુનોના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.




