સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જ દ્વારા ખેરના ઝાડ કાપી લાકડા સગેવગે કરવાના મસમોટો રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરત વન વિભાગના માંડવી દક્ષિણ રેન્જે નજીક પરમિટ વગર પસાર થતા ખેરનાં લાકડાં ભરેલી ટ્રક ઝડપાયો હતો. આ મામલે વધુ તપાસ કરતા તાર છેક મધ્યપ્રદેશ સુધી પહોંચ્યા હતા. અહીં અલીરાજપુરમાં દરોડા પાડી ત્યાંથી 5.13 કરોડ રૂપિયાની કિંમતનું 2055 મેટ્રિક ટન ખેરનું લાકડું જપ્ત કર્યું હતું. સુરત વન વિભાગના અધિકારીઓએ 16મી જૂને ખેરનાં લાકડા ભરેલી ટ્રક ઝડપી હતી. જ્યારે ટ્રક ડ્રાઈવરની પૂછતાછ કરાતા તેણે ખેરનું લાકડું મધ્ય પ્રદેશના અલીરાજપુર લઈ જવાતું હોવાનું જણાવ્યું હતું.
ત્યારબાદ વન વિભાગના અધિકારીઓએ મધ્ય પ્રદેશના અલીરાજપુરમાં દરોડા પાડયા હતા. જ્યાંથી તેઓને 2055 મેટ્રિક ટન લાકડું સંગ્રહ કરેલું મળી આવ્યું હતું. જેની બજાર કિંમત 5.13 કરોડ રૂપિયા થાય હતી. વન વિભાગે આ લાકડું જપ્ત કરી ડેપો મેનેજર આરીફઅલી અમજલઅલી મકરાની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ આરીફઅલી મકરાની સાથે ખેરના લાકડા ચોરી પ્રકરણમાં કોણ કોણ સંડોવાયેલું છે તેની તપાસ શરૂ કરવામાં આવી છે.
છેલ્લા ચાર વર્ષથી સુરત, તાપી, નવસારી, વલસાડ, નર્મદા, દાહોડ, ભરુચ સહિતના જિલ્લાના જંગલોમાંથી ખેરના ઝાડનો ખાતમો બોલાવી રહ્યા હતા. અલગ અલગ વિસ્તારના જંગલોમાંથી ખેરના ઝાડ કાપી ટ્રક મારફતે મધ્ય પ્રદેશના અલીરાજપુર સુધી લઈ જવામાં આવતું હતું. હવે મધ્યપ્રદેશ સુધી દક્ષિણ ગુજરાતના અલગ અલગ રસ્તાઓ પરથી ગેરકાયદે લાકડું ભરેલી ટ્રક પસાર થતી રહી આમ છતા દક્ષિણ ગુજરાતના એકપણ DFO કે તેમની નીચેના કર્મચારીઓને ભનક સુધ્ધાં આવી નથી.



