પીપોદરા નેશનલ હાઈવે પર રસ્તો ક્રોસ કરી રહેલા રાહદારીનું અજાણ્યા વાહન અડફેટે આવતા મોત નિપજ્યું હતુ. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુનિલ ગોપાલ હરવાદે (રહે.પીપોદરા, તા.માંગરોળ, જિ.સુરત) મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. સુનિલભાઈ ગતરોજ નેશનલ હાઈવે નંબર-48 ક્રોસ કરી રહ્યા હતા. તે દરમિયાન સામેથી પુરપાટ આવી રહેલા અજાણ્યા વાહનનાં ચાલકે સુનિલભાઈને અડફેટે લીધા હતા.
ત્યારબાદ ચાલક વાહન લઈને ફરાર થઈ ગયો હતો. ઘટનામાં સુનિલભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ટૂંકી સારવાર બાદ ફરજ પરનાં ડોક્ટરોએ સુનિલભાઈને મૃત ઘોષિત કર્યા હતા. હાલ મૃતક સુનિલભાઇની પત્ની યોગીતાબેન દ્વારા સમગ્ર ઘટના અંગે કોસંબા પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી. અકસ્માત અંગે પોલીસે અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.




