ગાંધીનગર શહેરનાં ખોરજમાં આવેલ સેન્ટોસા ગ્રીન બંગલોમા તસ્કરો ત્રાટક્યા હતા અને મકાનની બારીમાંથી પ્રવેશ કરીને સોનાના દાગીના અને રોકડ રકમ મળી રૂપિયા ૧.૪૫ લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે અડાલજ પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલ તસ્કરોની શોધખોળ શરૂ કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી, શહેર નજીક આવેલા ખોરજની સેન્ટોસાગ્રીન વસાહતમાં ચોરીની ઘટના પ્રકાશમાં આવી છે.
અહીં બંગલા નંબર-૨૪માં કોન્ટ્રાક્ટરનું કામ કરતા અમૃતભાઈ સોમાભાઈ સથવારા પરિવાર સાથે રહે છે. ગત શનિવારની રાત્રીના સમયે તે અને તેમની પત્ની ઉપરના માળે સુઈ રહ્યા હતા અને તેમનો પુત્ર મોડે સુધી ટીવી જોતો હતો ત્યારબાદ તે પણ ઉપરના માળે તેના રૃમમાં સુવા માટે ગયો હતો. આ દરમિયાન અમૃતભાઈ સવારે નીચે આવ્યા હતા તે દરમિયાન જોયું તો ઘરમાં સામાન વેર વિખેર હાલતમાં હતો અને રસોડાની બારી તેમજ દરવાજો પણ ખુલ્લો હતો.
ત્યારબાદ ઘરમાં તિજોરીમાં તપાસ કરતા ડ્રોવર ખુલ્લું હતું અને તેમાંથી રોકડ અને દાગીના મળી ૧.૪૫ લાખ રૂપિયાની ચોરાઈ હોવાનું જણાયું હતું. જેથી તસ્કરો ત્રાટક્યા હવાનું માલુમ પડયું હતું. બનાવ અંગે અડાલજ પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી અને ચોરીનો ગુનો દાખલ કરીને તસ્કરોને પકડી પડવા માટે દોડધામ શરૂ કરી હતી.




