સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીના ખાનવેલમાં આઈટીઆઈ કોલેજ બનાવવા માટે અંદાજે ૧૬ જેટલા મકાન તોડી પાડીને તંત્રએ જોહુકમી દાખવાનું ઉદાહરણ પુરું પાડયું હતુ. ઘટના બાદ અસરગ્રસ્ત પરિવારોએ નોટીસ આપ્યા વિના તંત્રએ કાર્યવાહી કર્યાનો આક્ષેપ પણ કર્યો હતો. દાનહ વહીવટીતંત્ર દ્વારા ખાનવેલમાં કેટાલક વિસ્તારને ડિમોલિશન માટે પોલીસ છાવણીમાં ફેરવી દીધો હતો. 
ત્યારબાદ રિઝર્વ બટાલિયન ફોર્સ બોલાવીને ૧૬ જેટલા ઘર ઉપર બુલડોઝર ફેરવી દેવાયું હતુ. પરિવારજનોનું કેહવું છે કે, વહીવટીતંત્રે ઘર ખાલી કરવા માટે કોઈ સમય આપ્યો ન હતો કે નોટિસ આપી ન હતી. અચાનક પોલીસ અને અધિકારીનો કાફલો આવી પહોંચ્યો હતો. ત્યારબાદ ઘરમાં તોડફોડ શરૂ કરી દેવાઈ હતી. ઘર ગુમાવનાર એક યુવતીએ જણાવ્યું હતું કે, સ્થાનિક નેતાઓ, સરપંચ પહેલા આ મામલે પીડિતો સાથે હોવાનું કહેતા હતા. પરંતુ આજે પ્રસાશન દ્વારા ઘર તોડવાની કાર્યવાહી રોકવા ફોન ઉપર આજીજી કરી તો સામેથી ઉત્તર આપ્યો કે અમે આ મુદ્દે કઈ કરી શકીએ તેમ નથી.



