નવસારી લોકસભાની મતગણતરી આકરા તાપમાં પણ ભાજપ માટે આનંદ આપનારી બની રહી છે. નવસારી લોકસભા બેઠક પર ભાજપના સીઆર પાટીલે 7.73 લાખની લીડ મેળવી સતત ચોથીવાર જીતની હેટ્રીક મારતા ભાજપી આગેવાનો સહિત કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે રાજકોટ અગ્નિકાંડની ઘટનાને કારણે નવસારી લોકસભા મતવિસ્તારના ભાજપી કાર્યકર્તાઓ અને આગેવાનો સી.આર. પાટીલની વિક્રમી જીતની ઉજવણી કરી ન હતી. નવસારી લોકસભા બેઠકની મતગણતરીનો નવસારી જિલ્લાના જલાલપોર તાલુકામાં ભુતસાડ ગામે આવેલી મહાત્મા ગાંધી એન્જિનિયરીંગ કોલેજ ખાતે મંગળવારે સવારે 8 વાગ્યાથી પ્રારંભ થયો હતો. જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની ચૂંટણી લડાઇમાં પ્રારંભથી જ ભાજપના સી.આર. પાટીલ આગળ રહ્યા હતા.
જોકે ચૂંટણી પરિણામ આવે તે પહેલા જ કોંગ્રેસના ઉમેદવાર નૈષેધ દેસાઈ હાર માની ચુક્યા હતા. જેથી ભાજપના સી.આર. પાટીલે તેમની ગત ટર્મની 6.89 લાખ મતોની લીડના રેકોર્ડને જ તોડી ચુક્યા હતા. સી.આર. પાટીલ સતત ચોથી વખત નવસારી લોકસભા બેઠકના સાંસદ બન્યા છે. ત્યારે હરેક વખતે સી.આર. પાટીલે વધુમાં વધુ મત મેળવી જંગી લીડથી વિરોધ પક્ષને હરાવ્યા છે. ત્યારે આ વખતે પણ સી.આર. પાટીલે મેળવેલી લીડ ઐતિહાસિક બની છે. જે લીડને તોડવી એમના માટે મુશ્કિલ જ નહી, પણ નામુમકીન જણાયુ હતુ. મત ગણતરીના તમામ રાઉન્ડ પૂર્ણ થતા સી.આર.પાટીલને 10,31,065 મતો મળ્યા હતા.
જ્યારે કોંગ્રેસના નૈષેધ દેસાઈને 2,57,514 મતો મળ્યા હતા. જેથી સી.આર. પાટીલે 7.73 લાખની લીડથી રેકોર્ડ બ્રેક જીત મેળવી હતી. બીજી તરફ ભાજપને ખોબલે ખોબલે મળેલા મતોને કારણે ભાજપીઓમા અનેરો ઉત્સાહ અને આનંદની લહેર જોવા મળી હતી. પરંતુ ગુજરાતમાં થોડા દિવસો અગાઉ જ રાજકોટ શહેરમાં ગેમઝોન આગ લાગવાની ઘટનાને કારણે નવસારી લોકસભા મતવિસ્તારના ભાજપી આગેવાનો, કાર્યકર્તાઓ, હોદ્દેદારો સહિતના લોકોએ સી.આર. પાટીલની ઐતિહાસિક જીતની ઉજવણી કરી ન હતી.




