ભાવનગર જિલ્લાનાં કોળિયાક સ્થિત નિષ્કલંક મહાદેવના દરિયામાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના પાંચ સભ્યો પાણીમાં ડૂબી જતાં તરવૈયાઓએ તમામ સભ્યોના જીવ બચાવી લીધા હતા. જ્યારે માતા-પુત્રીઓ પાણી પી જતાં તેમને સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મળતી વિગત અનુસાર, શહેરનાં બોરતળાવ, મફતનગર વિસ્તારમાં રહેતા મુળ ધોલેરાના શેળા ગામના વતની ઈંદુબેન લાભુભાઈ રાઠોડ (ઉ.વ.35), તેમની બે પુત્રીઓ નીતાબેન લાભુભાઈ રાઠોડ (ઉ.વ.13), પાયલબેન લાભુભાઈ રાઠોડ (ઉ.વ.18) સહિતના પરિવારજનો આજે બેસતા મહિનાના દિવસે કોળિયાક સ્થિત નિષ્કલંક મહાદેવ ખાતે સમુદ્રસ્નાન કરવા માટે ગયા હતા. ત્યારે પાણીના વહેણમાં ડૂબવા લાગતા બચાવ..બચાવ..ની બૂમો કરી હતી. જેની જાણ થતાં જ હાજર તરવૈયાઓ અને સેવાભાવીઓએ દરિયામાં છલાંગ મારી ડૂબી રહેલા ત્રણેય માતા-પુત્રી સહિત અન્ય બે લોકોને બચાવી લઈ કાંઠે લાવ્યા હતા. દરમિયાનમાં ઈંદુબેન, નીતાબેન અને પાયલબેન પાણી પી જતાં તેમને તાબડતોડ સારવાર માટે ભાવનગર સર ટી.હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની સ્થિતિ સ્થિર હોવાનું હોસ્પિટલ પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું.




