દર વર્ષની જેમ આજે પણ ભારત સહિત વિશ્વના ઘણા દેશો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી રહ્યા છે. યોગ માત્ર શારીરિક જ નહીં પરંતુ માનસિક સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આ જ કારણ છે કે સમગ્ર વિશ્વમાં યોગને પ્રોત્સાહન આપવા માટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈને ઘણા મંત્રીઓ સુધી બધા યોગ દિવસનો ભાગ બની રહ્યાં છે. ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં દર વર્ષે 21 જૂને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ની ઉજવણી કરવામાં આવે છે. ખાસ વાત એ છે કે, યોગ દિવસની ઉજવણીની પહેલ ભારતમાંથી જ કરવામાં આવી હતી.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 27 સપ્ટેમ્બર 2014નાં રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં યોગ દિવસની ઉજવણીનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ પ્રસ્તાવને 177 દેશોનું સમર્થન મળ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ વર્ષે ફ્રાન્સની 101 વર્ષની મહિલા યોગ શિક્ષકને ભારતમાં પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યાં. તે ક્યારેય ભારત આવ્યા ન હતા. પરંતુ તેમણે પોતાનું આખું જીવન યોગ પ્રત્યે જાગૃતિ ફેલાવવા માટે સમર્પિત કર્યું હતું. આજે દેશ અને દુનિયાની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીઓ અને સંસ્થાઓમાં યોગ પર સંશોધન થઈ રહ્યું છે.
યોગ પર સંશોધન પત્રો પ્રકાશિત થઈ રહ્યા છે. 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસર પર વડાપ્રધાન મોદીએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીર યોગ અને ધ્યાનની ભૂમિ છે. તેનાથી ઉત્પાદકતા અને સહનશક્તિ વધે છે. યોગ દ્વારા નવી તકો ઊભી થઈ છે. યોગ એ માત્ર શિક્ષણ નથી પણ એક વિજ્ઞાન છે. યોગથી એકાગ્રતા વધે છે. હવે યોગ પર સંશોધન થઈ રહ્યું છે. પર્યટનમાં યોગ એક નવો ટ્રેન્ડ બની ગયો છે. શેર-એ-કાશ્મીર ઈન્ટરનેશનલ કોન્ફરન્સ સેન્ટર (SKICC) ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ યોગ કરતાં જોવા મળ્યા હતા.
આ સ્થળ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આવેલ છે. બિહારના નાયબ મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી, વિજય સિંહા અને આરોગ્ય મંત્રી મંગલ પાંડેએ પણ યોગ કર્યા હતા. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠાના નડાબેટ ખાતે યોગ કર્યા હતા. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર નરેન્દ્ર મોદીએ કહ્યું યોગને લોકો પોતાના જીવનનો નિયમિત ભાગ બનાવે તેવી મારી વિનંતી છે.
યોગથી શક્તિ વધે છે, સારું સ્વાસ્થ્ય મળે છે, સમૃદ્ધિ આવે છે. શ્રીનગરમાં આજે આ કાર્યક્રમમાં ભાગ લઈને હું ધન્ય થઇ ગયો. કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવિયા પણ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે યોગ સેશનમાં ભાગ લીધો હતો. 10માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ITBPનાં જવાનોએ લેહમાં પેંગોંગ ત્સો લૅકના કિનારે યોગ કર્યા.
અમેરિકાના ન્યુયોર્કમાં પણ ટાઈમ્સ સ્ક્વેર ખાતે લોકો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરતાં જોવા મળ્યાં હતાં. ઉત્સાહભેર લોકોએ મોટી સંખ્યામાં કાર્યક્રમમાં ભાગ લઈને યોગ કર્યા હતા. વિદેશ મંત્રી ડૉ.એસ. જયશંકરે દિલ્હીમાં રાજદ્વારીઓ સાથે યોગ કર્યા. ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ નિમિત્તે ઉત્તર પ્રદેશના મથુરામાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે અને અન્ય લોકોએ યોગ કર્યા. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે મુંબઈમાં યોગ સેશનમાં ભાગ લીધો હતો.



