ગ્રેટર નોઈડામાં મોટી કરુણાંતિકા સર્જાઈ હતી. એક ધસી પડવાની ઘટનામાં લગભગ 3 બાળકોના મૃત્યુ થઈ ગયા જ્યારે અન્ય 5 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયાની માહિતી મળી રહી છે. કુલ 8 બાળકો આ દુર્ઘટનાનો શિકાર થયા હતા. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટનાસ્થળે ધસી આવ્યો હતો અને મૃતકોના શબ પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા હતા. આ ઘટના સૂરજપુર ક્ષેત્રના ખોદના ગામની હદમાં બની હતી. અહીંના રહેવાશી સગીરના જ પરિવાર અને તેમના સંબંધીઓના 8 બાળકો કાટમાળ નીચે દટાઈ ગયા હતા.
ઘટનામાં ઘાયલોની ઓળખ આયશા (ઉ.વ.16), હુસૈન (ઉ.વ.5), વાસીલ (ઉ.વ.11), સોહના (ઉ.વ.12) અને સમીર (ઉ.વ.15) તરીકે થઇ હતી. જ્યારે મૃતકોની ઓળખ અહદ (ઉ.વ.4), આદિલ (ઉ.વ.8) અને અલફિઝા (ઉ.વ.2) તરીકે થઇ હતી. સેન્ટ્રલ નોઈડાના એડિશનલ ડીસીપી હિરદેશ કઠેરિયાએ કહ્યું કે, સુરજપુરની હદમાં આવેલા ખોદના ગામમાં નિર્માણાધીન મકાનની દિવાલ ધસતાં સગીરનો પરિવાર અને તેના સંબંધીના 8 બાળકો કાટમાળ નીચે દટાઈ ગયો હતો જેમાં 3 બાળકોના દુઃખદ મૃત્યુ થયા હતા. અન્ય બાળકોની સારવાર ચાલી રહી છે. આ મામલે કાર્યવાહી કરવી જરૂરી થઇ ગઈ હતી.




