હવામાન વિભાગની આગાહી વચ્ચે બનાસકાંઠામાં મેઘ મહેર જોવા મળી છે. આ વરસાદ બનાસકાંઠાના તમામ તાલુકાઓમાં નોંધાયો છે. ગત 24 કલાકમાં બનાસકાંઠા જિલ્લાના પાલનપુર, વડગામ, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, લાખણી, થરાદ સહિતના તાલુકાઓમાં એકથી બે ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના કારણે શહેરી વિસ્તારોમાં તેમજ ગ્રામીણ વિસ્તારમાં જ્યાં જ્યાં નીચાણવાળા વિસ્તાર હતા ત્યાં પાણી ભરાયા હતા. જેનાથી જનજીવન ખોરવાયું હતું. જોકે વરસાદ થયા ચોતરફ ઠંડક પ્રસરી હતી. બનાસકાંઠા જિલ્લામા ભાદરવો મહિનાના પ્રારંપ્રારંભે મેઘરાજા મન મૂકીને વરસતા લોકોમાં આનંદની લાગણી છવાઈ છે. વહેલી સવારથી શરૂ થયેલો વરસાદ મોડી સાંજ સુધી અવિરત વરસતા જિલ્લામાં અડધાથી ત્રણ ઇંચ વરસાદ પડતાં વિવિધ વિસ્તારોમાં જળ બંબાકારની સ્થિતિ સર્જાઇ હતી.
જોકે પાલનપુર અને વડગામ વિસ્તારમાં મોટાભાગના તાળવ બેટમાં ફેરવાઇ જતા મગફળીના પાકમાં નુકશાન થવાની ખેડૂતોમાં ભીતિ સેવાઈ રહી છે. શહેરી વિસ્તારના અનેક નીચાણવાળા વિસ્તારોમાં ઢીંચણ સમા પાણી ભરાઇ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. તેમજ હાઇવે વિસ્તારો પાણી પાણીના ભરાવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થઇ ઉઠયો હતો. દિવસ દરમિયાન સૌથી વધુ ડીસામાં ત્રણ, પાલનપુર અને દાંતીવાડામાં અઢી અઢી ઇંચ વરસાદ પડતાં જળ ત્યાં સ્થળની સ્થિતિ સર્જાઇ હતી. તેમજ ઠેર ઠેર વરસાદી પાણીના ઘોડાપૂર ઉમટયા હતાં. પાલનપુર પંથકમા સળંગ ચાર દિવસથી વરસાદ વરસી રહ્યો હોય ગ્રામીણ વિસ્તારોમા ખેતરો બેટમાં ફેરવાતા હજારો હેકટર જમીન કરેલી મગફળી પાકમાં નુકશાન થવાની ખેડૂતોમાં દહેશત વર્તાઇ રહી છે. જોકે જિલ્લામાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મોડે મોડે મેઘ મહેર થતા થતા મોટા ભાગના નદી નાળા અને તળાવ સરોવર સજીવન થતા લોકોમાં ખુશાલી વ્યાપી જવા પામી છે.
પાલનપુરમાં જામપુરા, મફતપુરા, જુના બસ સ્ટેન્ડ, વીરપુર પાટીયા જેવા અનેક વિસ્તારોમાં પાણી ભરાતા અહીંથી પસાર થતાં રાહદારીઓ તેમજ વાહન ચાલકો અટવાયા છે.તો વળી ડીસાના બાઈવાડા ગામે વરસાદી પાણી ભરાતા ગ્રામજનોએ પોતાની પીડા સોશિયલ મીડિયામાં મૂકી મદદ માંગી હતી. નવાબી નગરી પાલનપુરના મફતપુરા વિસ્તારમાં રોડ પર 2 ફૂટ જેટલા પાણી વરસતા આ વરસાદી પાણી લોકોના ઘરોમાં પણ ઘૂસ્યા હતા. જેનાથી શ્રમિકોના ઘરમાં ઘરવખરી અને સામાન પાણીમાં ફસાયો હતો.અને શ્રમિકોને નુકસાન થયું હતું. તો વળી પાલનપુર જુના બસ સ્ટેન્ડમાં પણ પાણી ભરાયાં હતાં જ્યારે. જામપુરા વિસ્તારમાં પણ જાહેર માર્ગો ઉપર બે ફૂટ જેટલા પાણી ભરાતા લોકો અટવાયા હતા. આગામી 12મી સપ્ટેમ્બરથી અંબાજી મહાકુંભ મેળાની શરૂઆત થાય છે. ત્યારે આજના વરસાદથી મેળામાં જતા પદ યાત્રિકો અંબાજી પાલનપુર વિરમપુર જે માર્ગ છે તેમાં ફસાઈ શકે છે. આજના વરસાદથી આ રોડમાં ગુંઠણ સમા પાણી ભરાયા હતા. જો મેળા દરમિયાન વરસાદ થશે તો આ જ સ્થિતિ થશે માટે વહીવટી તંત્ર આ પાણીના નિકાલની કાયમી વ્યવસ્થા કરે તેવી માંગ ઉઠી છે.



