ગાંધીનગર જિલ્લામાં ‘લોકશાહીના શુભ અવસર પ્રસંગે અવશ્ય મતદાન કરીએ’ નાપ્રણ સાથે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો, સરગાસણ વિસ્તારની લેન્ડમાર્ક હારમની સોસાયટીના લોકોએ અવશ્ય મતદાન કરવાના શપથ લીધા લોકસભા ચૂંટણીને હવે ગણતરીનાં જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ગાંધીનગર જિલ્લા ચુંટણી અધિકારીશ્રી મેહુલ દવે નાં નેતૃત્વમાં સમગ્ર જિલ્લામાં વિવિધ જગ્યાએ મતદાર જાગૃતિલક્ષી કાર્યક્રમ યોજવામાં આવી રહ્યાં છે. જેમાં લોકો સ્વૈચ્છિક સહભાગી થઈને મતદાન થકી પોતાની નૈતિક ફરજ નિભાવે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ પ્રયત્નોના ફલ સ્વરૂપ જિલ્લાના મતદાતાઓ લોકસભા ચૂંટણીમાં અચુક મતદાન કરશે તેવી ખાતરી આપી રહ્યાં છે.
જે અન્વયે ગાંધીનગરની સરગાસણ વિસ્તારમાં આવેલી લેન્ડમાર્ક હારમની સોસાયટી ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મતદાન પ્રત્યે નાગરિકોને જાગૃત કરતાં ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દવેએ જણાવ્યું હતું કે લકશાહીમાં આપણા આંગણે તા.7 મેના રોજ શુભ અવસર આવ્યો છે. જેમાં સર્વ મતદાતાઓએ મહેમાન બની અવશ્ય પધારવાનું છે, અને મતદાનની નૈતિક ફરજ પૂર્ણ કરવાની તંત્ર વતી મહત્તમ મતદાન માટે આગ્રહ ભરી અપીલ કરી હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી સંજય મોદીએ નાગરિકોને તેમના એક મતની કિંમત સમજાવતા જણાવ્યું હતું કે, ક્યારેય એવું ન માનવુ કે હું મારો મત નહીં આપું તો કંઈ ફેર પડશે નહીં. આવુ વિચારવાને બદલે એક મત માટે કોઈ યોગ્ય ઉમેદવાર હારે નહીં તેની જવાબદારી સમજી પોતાની મતદાનની ફરજ નિભાવવા કટિબદ્ધ રહેવા તેમણે જણાવ્યું હતું.
અને સાથે હાજર સૌનો મતદાન પ્રત્યે ઉત્સાહ વધારવા ‘૭ મેના રોજ, ૧૦૦ ટકા મતદાનના નારા લગાવ્યા હતા’. આ પ્રસંગે ઉપસ્થિત ગાંધીનગર મહાનગરપાલિકાના કમિશનરશ્રી જે. એન વાઘેલાએ લોકશાહીને જીવંત રાખવા જ નહીં પરંતુ લોકશાહીને મજબુત કરવા પણ એક મત ખૂબ જરૂરી છે. તેમ જણાવી યુવાનોને મતદાન અંગે પ્રોત્સાહિત કર્યા હતા અને મતદાનના મહત્વ વિશે વધુ માહિતી આપી હતી. કાર્યક્રમ દરમિયાન જિલ્લા કલેકટરશ્રી મેહુલ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સંજય મોદી,કોર્પોરેશન કમિશનરશ્રી જે. એન વાઘેલાની ઉપસ્થિતિમાં જિલ્લા વહીવટી તંત્રના હોદ્દેદારો અને સોસાયટીના મતદાતાઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સાથે ૭ મેના રોજ અચુક મતદાન કરવાના શપથ લીધા હતા.




