ગુજરાતની રાજનીતિમાં હાલ ચારેતરફ રૂપાલા જ રૂપાલા છે. તેનો ભડકો દિલ્હી સુધી પહોંચ્યો છે. આ વિવાદને કારણે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને છેક દિલ્હી સુધી તાત્કાલિક દોડવુ પડ્યું છે. આવામાં ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રૂપાલા વિવાદ મામલે જલ્દી જ અંતિમ નિર્ણય લઈ શકાય છે. ક્ષત્રિયોનો વિરોધ સમગ્ર રાજ્યમાં ફેલાઈ ગયો છે. ત્યારે હાલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હીની મુલાકાતે પહોંચી ગયા છે. ત્યારે સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, CM હાઈકમાન્ડને રિપોર્ટ સોંપી શકે છે. રૂપાલા વિવાદની બેઠકનો રિપોર્ટ CM સોંપી શકે છે. હાઈકમાન્ડ સમગ્ર ઘટનાક્રમ પર સતત નજર રાખી રહ્યું છે. હાઇકમાન્ડની ગુજરાતની રાજકીય સ્થિતિ પર સતત નજર છે.
આ વચ્ચે દિલ્હી દરબારથી હાજરી આપીને આવેલા પરસોત્તમ રૂપાલાનું મોટુ નિવેદન સામે આવ્યું છે. રૂપાલાનો વિવાદ સળગ્યા બાદ ગુજરાત ભાજપના બધા નેતા બેક ટુ બેક દિલ્હી ગયા હતા. હજી ચાર દિવસ પહેલા સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દિલ્હી ગયા હતા. ત્યારે હવે રૂપાલા દિલ્હી દરબારમાં હાજરી આવીને પરત ફર્યાં છે. પરસોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયા એકસાથે દિલ્હીથી પરત ફર્યા હતા અને અમદાવાદ એરપોર્ટ પર ક્લિક થયા હતા. દિલ્હીની બેઠકમાં હાજરી આપીને પરત ફરેલા પરશોત્તમ રૂપાલા આત્મવિશ્વાસથી ભરપૂર દેખાયા હતા. રૂપાલાએ પુરા આત્મવિશ્વાસ સાથે કહ્યું કે, તમામ સમાજ અમારા સમર્થનમાં જ છે.
દિલ્હીથી આવેલા રૂપાલાએ મીડિયાને કહ્યું કે, હું દિલ્હી કેબિનેટની મીટિંગમાં ગયો હતો. કેબિનેટ અંગેની વિગતો કેબિનેટના અમારા નિયમો મુજબ બ્રિફિંગ કરવાની હોય છે. આગેવાનો હાલ બેઠકો કરી રહ્યાં છે. તેમાં હું ટિપ્પણી કરું તે યોગ્ય ન કહેવાય. પાટીદારો જ નહિ, પરંતુ અમારા સમર્થનમાં અનેક સમાજ છે. અનેક આગેવાનોએ મારી સાથે સમર્થન જાહેર કર્યું છે. હું તેમના નામ પણ આપી શકું છું. પરંતુ અત્યારે આ વિવાદમાં આગ હોમવાનું કામ કરવાનો મારો આશય નથી.
આ પહેલા પણ મેં મારા વિચારો મીડિયા સામે રજૂ કર્યા છે. મારી દ્રષ્ટિએ હું હવે વધારાના કોઈ વિષયને તેમાં જોડવાના મતમાં નથી. ક્ષત્રિય વર્સિસ પાટીદાર કરવાની કોઈ જરૂર નથી. ઉલ્લેખનીય છે કે, આજે દિલ્હીમાં ભાજપની મેનીફેસ્ટો સમિતિની પણ બેઠક છે અને CM ભૂપેન્દ્ર પટેલ પણ મેનીફેસ્ટો સમિતિના સભ્ય છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ હાજરી આપવાના છે. તો બીજી તરફ, પરષોત્તમ રૂપાલાના અમદાવાદ પહોંચતા જ તેમના આવાસ પર ખાસ બેઠક યોજાઈ. જેમાં ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી અને રૂપાલા વચ્ચે બંધબારણે બેઠક ચાલી રહી છે. છેલ્લા અડધો કલાકથી આ બેઠક ચાલી રહી છે. જેમાં રત્નાકર પણ પહોંચ્યા છે.




