મુસાફરોના ભારે ધસારાને કારણે 15મી અને 16મી મેના રોજ ઓફ લાઈન રજીસ્ટ્રેશન બંધ રખાયું હતું. ચારધામ યાત્રા માટે આ રજીસ્ટ્રેશન હરિદ્વાર અને ઋષિકેશમાં થઈ રહ્યા હતા. નોંધનિય છે કે, હાલમાં હજારો શ્રદ્ધાળુઓહરિદ્વાર અને ઋષિકેશમાં ફસાયેલા છે તેવા સમાચાર સૂત્રો દ્વારા મળી રહ્યા છે. આ વર્ષે ચારધામની મુલાકાતે આવનાર ભક્તોની સંખ્યામાં આશરે 44%નો વધારો જોવા મળ્યો છે. ગંગોત્રી ધામનાપૂજારીઓ પણ આનાથી ખૂબ નારાજ છે. તેમનું કહેવું છે કે, મંગળવારે ગંગા સપ્તમીના અવસર પર કોઈ પણ ભક્ત ગંગોત્રી આવી શક્યા નથી. આવું એટલા માટે થયું કારણ કે તેઓ વચ્ચે ઘણી જગ્યાએ રોકાયા હતા. 22 કલાકથી ભક્તો ટ્રાફિક જામમાં અટવાયા છે.
સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા શ્રદ્ધાળુઓને થોડા દિવસો રાહ જોવાની અપીલ કરવામાં આવી રહી છે. ચાર ધામ યાત્રા માટે ઉમટતા શ્રદ્ધાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 15 અને 16 મેના રોજ ઓફ લાઈન રજીસ્ટ્રેશન પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ઑફ લાઇન નોંધણી પ્રક્રિયા શરૂ થઈ ત્યારથી મે મહિના માટે ચારધામ માટેના તમામ ઑફ લાઇન સ્લોટ બુક થઈ ગયા છે. જેના કારણે ઘણા યાત્રિકોને મે મહિનામાં ચારધામ યાત્રા પર જવાનો સ્લોટ મળી શક્યો નથી.
જોકે ઓનલાઈન રજીસ્ટ્રેશન ચાલુ રહેશે. અહીં મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં હરિદ્વાર અને ઋષિકેશમાં યાત્રાના રૂટમાં ઘણી જગ્યાએ શ્રદ્ધાળુઓને રોકવામાં આવ્યા છે. ધામમાં નિર્ધારિત સંખ્યા કરતા વધુ ભક્તોનો ભરાવો છે જેના કારણે ધામની તેમજ યાત્રિકોની સલામતી સામે ખતરો ઉભો થયો છે. આ બધું જોઈને ભક્તોને વિવિધ સ્થળોએ રોકીને પવિત્ર સ્થળોએ દર્શન માટે મોકલવામાં આવી રહ્યા છે.




