લોકસભાની ચૂંટણી સામે છે, ત્યારે રાજ્યમાં સરકારી કર્મચારીઓ ફરી એકવાર આંદોલનના મૂડમાં દેખાઈ રહ્યા છે. ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજના મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરશે. જેના માટે તમામ કર્મચારીઓને 15 માર્ચે હાજર રહેવા મહામંડળ દ્વારા અપીલ કરવામાં આવી છે. આ સાથે જ સરકારી કર્મચારીઓ ફરી એકવાર ગાંધીનગરમાં ધામા નાખશે. ફિક્સ પે નાબૂદી અને જૂની પેન્શન યોજનાને લઈને ગાંધીનગરમાં હજું લડત ચાલું છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ફિક્સ પગાર સિસ્ટમ નાબૂદ કરવા, જૂની પેન્શન યોજનાનો અમલ કરવો સહિતના પ્રશ્ન મુદ્દે કર્મચારીઓ સરકાર સમક્ષ રજૂઆત જ નહીં, આંદોલન કર્યા પછીય કોઇ ઉકેલ આવી શક્યો નથી.
14મી અને 15મીએ કર્મચારીઓ કાળા વસ્ત્રો પહેરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આ ઉપરાંત 23મીએ કર્મચારીઓએ પાટનગરમાં સામૂહિક ધરણાં યોજીને પણ વિરોધ દર્શાવ્યો હતો. જૂની પેન્શનનો અમલ કરવા માટે કર્મચારી મહામંડળે ચોથી માર્ચ સુધી અલ્ટીમેટમ આપ્યું હતું. જો કે, સરકાર પ્રશ્નનો હલ ન લાવે તો છઠ્ઠી માર્ચે રાજ્યમાં તમામ સરકારી ઓનલાઇન કામગીરીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કરાયો હતો. કર્મચારીઓ પેન ડાઉનનું એલાન કર્યુ હતું. પરંતુ પાછળથી આ જાહેરાતને માંડી વાળવામાં આવી હતી. કર્મચારી મહામંડળે સરકાર સમક્ષ બે મૂળ પ્રશ્ન હલ કરવા માગ કરી છે. જેમાં જૂની પેન્શન યોજના ઉપરાંત ફિક્સ પગાર પ્રથા રદ કરી પૂરા પગારથી કાયમી કરવા. આ ઉપરાંત સાતમા પગારપંચના બાકી લાભો આપવા,કેન્દ્રના ધોરણે મોઘવારી ભથ્થુ અને ઘરભાડુ ભથ્થુ આપવુ.
