ભાવનગરનાં મહુવા તાલુકાનાં ખાટકીવાડ વિસ્તારમાં ચારિત્ર્ય ઉપર શંકા-કુશંકા કરી મારઝૂડ કરતા પતિના અસહ્ય ત્રાસથી કંટાળી જઈ પત્નીએ રૂમમાં છતના પંખા સાથે ઓઢણી બાંધી લટકી જઈ જીવાદોરી કાંપી લીધી હતી. બનાવ અંગે દીકરીને મરવા મજબૂર કરનાર જમાઈ સામે માતાએ ફરિયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મહુવાનાં ખાટકીવાડ, માળીની વાડી વિસ્તારમાં રહેતા સાયનાબેન અનવરભાઈ ગાહા (ઉ.વ.22)નાંએ તેના પતિ અનવર ગાહાના ત્રાસથી કંટાળી બુધવારે સાંજે તેમના ઘરે છતના પંખા સાથે ઓઢણી બાંધી લટકી જઈ આત્મહત્યા કરી લીધી હતી. પરિણીતાના આપઘાત અંગે તેમની માતા બાનુબેન સતારભાઈ શાહ (ઉ.વ.૫૦, રહે.કુંભારવાડા, શીતળા માતાની દેરી પાસે, સરકારી સ્કૂલની સામે, પીપરવાળો ખાંચો, ૫૨ નંબરની સરકારી સ્કૂલ સામે, ભાવનગર)નાંએ મહુવા પોલીસ મથકમાં તેના જમાઈ અનવર અબ્દુલભાઈ ગાહા (રહે.મહુવા) સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેમની પુત્રી સાયનાબેનના લગ્ન એક વર્ષ પહેલા અનવર ગાહા સાથે થયા હતા અને છેલ્લા આઠ માસથી તેનો પતિ ચારિત્ર્ય બાબતે શંકા-કુશંકા કરતો અને દીકરી સાથે અવાર-નવાર ઝઘડો કરી માર મારતો હતો. આથી સાયનાબેન ભાવનગર આવી જતા હતા, પરંતુ તેઓ તેમને સમજાવી ફરી સાસરે મોકલી આપી હતી. તેમ છતાં પતિનો ત્રાસ અને મારકૂટ શરૂ રહેતા સાયનાબેન તે સહન ન કરી શકતા પતિએ મરવા મજબૂર કરતા તેણીએ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી દીધું હતું. બનાવ અંગે મામલે પોલીસે અનવર ગાહા નામના શખ્સ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૮, ૮૫ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.




