સોનગઢના શ્રાવણીયા ગામે શોર્ટ સર્કીટથી આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે, ઢોર બાંધવાના કોઠારમાં એકાએક આગ લાગતા 5 ગાયો ગંભીર રીતે દાઝી ગઈ હતી. મળતી માહિતી મુજબ, સોનગઢ તાલુકાના શ્રાવણીયા ગામના નિશાળ ફળીયામાં રહેતા સામજીભાઇ મોતિયાભાઈ ગામીત પશુ પાલન અને ખેતી કરી પરિવારનું ગુજરાન ચલાવે છે, બુધવાર નારોજ સાંજે આશરે 7:30 કલાકના અરસામાં ઢોર બાંધવાના કોઠારમાં એકાએક શોર્ટ સર્કીટથી આગ લાગી હતી.
પશુઓ માટેનો ઘાસ ચારો પણ જોતજોતામાં આગની ચપેટમાં આવી જતા આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો ભેગા થઇ બોરના પાણીનો મારો ચલાવી મહામહેનતે આગ ઉપર કાબુ મેળવ્યો હતો.આ આગ લાગવાની ઘટનામાં કોઠારમાં બાંધવામાં આવેલ 5 ગાયો પૈકી 1 ગાય ગંભીર રીતે દાઝી ગઈ હતી,જયારે અન્ય 4 ગાયોને સામાન્યથી વધુ ઈજાઓ પહોંચી હતી.બનાવની જાણ થતા પ્રશાસનના માણસો ઘટના સ્થળે પહોંચી વિગતો મેળવી ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હોવાનું જાણવા મળ્યું છે.




