મેઘાલય રાજ્યના તાશખાઈ વિસ્તારમાં એક કોલસાની ખાણમાં થયેલા ભયાનક વિસ્ફોટે મોટી દુર્ઘટના સર્જી છે. આ પ્રચંડ બ્લાસ્ટમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 10 શ્રમિકોના મોત થયા હોવાની આશંકા છે. મળતી માહિતી મુજબ, આ વિસ્ફોટ ખાણની અંદર થયો હતો, જેના કારણે ત્યાં કામ કરી રહેલા મજૂરો તેની ઝપેટમાં આવી ગયા હતા. 
અધિકારીઓના જણાવ્યા અનુસાર, મૃતકોમાં મોટાભાગના શ્રમિકો પાડોશી રાજ્ય આસામના હોવાનું માનવામાં આવે છે. વિસ્ફોટ એટલો પ્રચંડ હતો કે ખાણની અંદર ફસાયેલા લોકો માટે બચવાની તક ઘણી ઓછી હતી. મેઘાલયની કોલસા ખાણમાં થયેલા ભયાનક વિસ્ફોટની જાણ થતા જ રાજ્ય પોલીસ અને સ્થાનિક વહીવટીતંત્ર તાત્કાલિક એક્શનમાં આવ્યું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને પોલીસે સુરક્ષા દળો સાથે ઘટના સ્થળે પહોંચીને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરી દીધું છે. અસરગ્રસ્ત વિસ્તારમાં કાટમાળ નીચે ફસાયેલા અન્ય શ્રમિકોને શોધવા અને તેમને સુરક્ષિત બહાર કાઢવા માટે વિશેષ બચાવ ટુકડીઓ તૈનાત કરવામાં આવી છે. આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વહીવટીતંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.



