મોરબી શહેરના રવાપર રોડ પર વસંત પ્લોટ વિસ્તારમાં રહેતા હાર્ડવેરના વેપારીએ પોતાની પત્ની અને પુત્ર સાથે મળીને સામૂહિક આપઘાત કરી લીધો હતો. જે બનાવને પગલે પંથકમાં ચકચાર મચી હતી. સામૂહિક આપઘાતના બનાવને પગલે જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીનો કાફલો દોડી ગયો હતો અને બનાવની વધુ તપાસ ચલાવી છે. તેઓ પોતે જીવનથી કંટાળી ગયા હોવાથી આપઘાત કરે છે, અન્ય કોઈ જવાબદાર નથી તેવું લખાણ લખેલી સુસાઈડ નોટ પોલીસને મળી આવી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, વસંત પ્લોટમાં રોયલ પેલેસના ચોથા માળે રહેતા હરેશભાઈ દેવચંદભાઈ કાનાબાર (ઉ.વ.૫૭), તેમના પત્ની વર્ષાબેન હરેશભાઈ કાનાબાર (ઉ.વ.૫૫) અને પુત્ર હર્ષ હરેશભાઈ કાનાબાર (ઉ.વ.૧૯)એ કોઈ કારણોસર પોતાના ફ્લેટમાં સામૂહિક આપઘાત કરી લીધો હતો. જે સામૂહિક આપઘાતના બનાવની મૃતકના ભાઈ પંકજભાઈને જાણ થતા પોલીસ મથકમાં જાણ કરી હતી. જેથી જિલ્લા પોલીસવડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને સામૂહિક આપઘાતના બનાવની વધુ તપાસ ચલાવી હતી. મૃતક વેપારી હરેશભાઈની નગર દરવાજા પાસે હાર્ડવેરની દુકાન હોવાનું જાણવા મળ્યું છે. અને પુત્ર હર્ષ સીએનો અભ્યાસ કરતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે.
પોલીસને સુસાઈડ નોટ પણ મળી આવી છે. જેમાં તેઓએ અંગત કારણોસર આપઘાત કર્યો છે. અને અન્ય કોઈ જવાબદાર નથી તેવું પણ લખેલ હોવાનું જિલ્લા પોલીસવડાએ જણાવ્યું છે.તો સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ પરિવારના સભ્યોએ પોતાના ફ્લેટમાં અલગ અલગ સ્થળે ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. દંપતીએ પ્રથમ પુત્રને ગળે ફાંસો આપ્યા બાદ પતિ અને પત્નીએ પણ ઘરમાં અલગ અલગ થઈને હોલમાં અને રસોડામાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધાની માહિતી સુત્રો પાસેથી પ્રાપ્ત થઇ હતી. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
વેપારીએ પત્ની અને પુત્ર સાથે સામૂહિક આપઘાત કરી લેવાના ચકચારી પ્રકરણમાં પોલીસને સુસાઈડ નોટ મળી આવી છે. જેમાં તેઓ પોતે જીવનથી કંટાળી ગયા હોય અને આપઘાત કરે છે. અન્ય કોઈ જવાબદાર નથી તેવું લખેલું હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યું છે. એટલું જ નહિ વેપારીએ સગાઓને સોશ્યલ મીડિયામાં મેસેજ કરીને પણ જાણ કરી હોવાનું પોલીસના આધારભૂત સુત્રોમાંથી જાણવા મળ્યું છે. વેપારી પરિવાર સામૂહિક આપઘાત કરી લેતા પંથકમાં ચકચાર મચી છે. જોકે વેપારી આથક સંકડામણથી કંટાળી સામૂહિક આપઘાત કર્યો છે કે, પારિવારિક પ્રશ્ન હતો કે અન્ય કાઈ તે સ્પષ્ટ થયું નથી. હાલ મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી તપાસના કાર્યવાહી હાથ ધરી હતી.



