ભારતીય સેના દ્વારા નાગરિકોને નુકસાન ન થાય તેનું ધ્યાન રાખતાં આતંકવાદીઓને જ નિશાન બનાવતું ‘ઓપરેશન સિંદૂર’ હાથ ધરાયા બાદ પાકિસ્તાન પોતાની નાપાક હરકતોથી બાજ આવી રહ્યું નથી. આજે તેણે જમ્મુ-કાશ્મીરનાં પૂંછમાં આવેલી LOC ખાતે સીઝફાયરનું ઉલ્લંઘન કરતાં ઓછામાં ઓછા 15 નાગરિકોના મોત થયા છે. જ્યારે 43 જેટલા ઘાયલ થયા છે. એકબાજુ પાકિસ્તાનના રક્ષા મંત્રી ભારત સામે કોઈ કાર્યવાહી ન કરવાની ખાતરી આપી રહ્યા છે, ત્યારે બીજી બાજુ પાકિસ્તાની સેના સળંગ 14મા દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કરી રહી છે.
ઉલ્લેખનીય છે, પાકિસ્તાનના રક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે, જો ભારત આગળ કોઈ નવી કાર્યવાહી હાથ ન ધરે તો પાકિસ્તાન હુમલો કરશે નહીં.
સમગ્ર સરહદી પટ્ટામાં રાત્રે 2 વાગ્યાની આસપાસ ગોળીબાર શરુ થયો હતો. જેમાં ડઝનબંધ રહેણાંક મકાનોને નુકસાન થયું હતું. વિસ્ફોટોના અવાજથી લોકો સુરક્ષિત સ્થળે આશ્રય લેવા દોડતાં અફરાતફરી મચી હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાની દળોએ ભારે તોપખાના અને મોર્ટારનો ઉપયોગ કરીને પૂંછ શહેરમાં ડઝનબંધ ગામો અને ગીચ વસ્તીવાળા નાગરિક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાની સેનાની આ બર્બરતાને ધ્યાનમાં લેતાં બીએસએફ સહિત ભારતીય સુરક્ષા દળોએ ઢાંકીમાં રહેતા 150થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. ભારતના ઓપરેશન સિંદૂર મિશનથી પાકિસ્તાન ગભરાઈ ગયું છે. તે ભારતીય સેનાનો સામનો કરવાના બદલે નિર્દોષ નાગરિકોના જીવ લઈ રહ્યું હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા છે.
