દેશમાં સતત વધી રહેલા ડિજિટલ ફ્રોડ અને ફેક આઈડી દ્વારા થતા ગુનાઓને રોકવા માટે કેન્દ્ર સરકાર હવે એક્શન મોડમાં આવી છે. ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા OTT મેસેજિંગ એપ્સ માટે ‘સિમ બાઈન્ડિંગ’ના કડક નિયમો અમલી બનાવવાની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. નવા નિયમ મુજબ કોઈ પણ મેસેજિંગ એપનું એકાઉન્ટ જે તે ડિવાઈસમાં રહેલા એક્ટિવ સિમ કાર્ડ સાથે લિંક હોવું અનિવાર્ય રહેશે. જો સ્માર્ટફોનમાં રજિસ્ટર્ડ સિમ કાર્ડ હાજર નહીં હોય તો WhatsApp કે Telegram જેવી એપ્સ વાપરવામાં યુઝર્સને મોટી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે કોઈ સમજૂતી કરવામાં આવશે નહીં અને નિર્ધારિત સમય મર્યાદામાં કોઈ ફેરફાર કે ઢીલ આપવામાં આવશે નહીં. સરાકરનું માનવું છે કે સાયબર ગુનેગારો અવારનવાર નકલી નંબર કે એક્ટિવ સિમ વગરની એપનો ઉપયોગ કરીને ઠગાઈ કરે છે, જેના પર હવે લગામ તાણવામાં આવશે. પહેલી માર્ચની અંતિમ તારીખ બાદ મેસેજિંગ કંપનીએ તેમના પ્લેટફોર્મ પર ટેકનિકલ ફેરફારો કરવા પડશે, જેથી દરેક એકાઉન્ટ સક્રિય સિમ કાર્ડ સાથે જોડાયેલું રહે.આ નિયમ લાગુ થવાથી સૌથી વધુ અસર એવા યુઝર્સ પર પડશે જેઓ એક જ નંબરથી અલગ-અલગ ડિવાઈસ પર WhatsApp ચલાવે છે. વર્તમાનમાં ઉપલબ્ધ ‘Linked Devices’ ફીચર પર મર્યાદાઓ આવી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો મેઈન ફોનમાંથી સિમ કાર્ડ કાઢી લેવામાં આવશે તો અન્ય ડિવાઈસમાં ચાલતું WhatsApp બંધ થઈ શકે છે. આ ઉપરાંત, WhatsApp Web વાપરતા યુઝર્સને દર છ કલાકે ફરીથી QR કોડ સ્કેન કરીને વેરિફિકેશન કરવું પડી શકે છે, જેના કારણે નાના વ્યવસાયો અને ઓફિસના કામકાજમાં થોડી અડચણ આવવાની શક્યતા છે.
એક તરફ સરકાર સુરક્ષાને પ્રાધાન્ય આપી રહી છે, ત્યારે બીજી તરફ કેટલીક આંતરરાષ્ટ્રીય ટેક કંપનીઓએ આ નિયમ સામે વાંધો ઉઠાવ્યો છે. કંપનીનું કહેવું છે કે આ નિયમ યુઝર્સની પ્રાઈવસી (Privacy) પર અસર કરી શકે છે અને તે કાયદાકીય મર્યાદાની બહાર હોઈ શકે છે.જોકે, તપાસ એજન્સી માટે આ નિયમ વરદાન સાબિત થશે, કારણ કે કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ સમયે અસલી સિમ ધારક સુધી પહોંચવું હવે વધુ સરળ બનશે. સામાન્ય યુઝર્સ માટે હજુ કોઈ સત્તાવાર જાહેરનામું બહાર પડ્યું નથી, પરંતુ 1 માર્ચથી ડિજિટલ દુનિયાના સમીકરણો બદલાય તેવી પૂરેપૂરી સંભાવના છે.



