વર્તમાન સમયમાં સરકારી નોકરી મેળવવાની સ્પર્ધા અને તેમાં મળતી નિષ્ફળતા યુવાનોને કેવા ગંભીર આત્મઘાતી કદમ તરફ ધકેલી રહી છે, તેનો વધુ એક કરુણ કિસ્સો જૂનાગઢના વધાવી ગામમાં પ્રકાશમાં આવ્યો છે. પોલીસ બનવાનું સપનું સેવતી ૨૧ વર્ષીય પૂનમ મારડિયાએ તાજેતરની ભરતીમાં નિષ્ફળતા મળતા માનસિક તણાવમાં આવી અંતિમ પગલું ભરી લીધું છે.
મૃતક પૂનમ છેલ્લા લાંબા સમયથી પોલીસ દળમાં જોડાવા માટે તનતોડ મહેનત કરી રહી હતી. તેની મક્કમતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે ગત વર્ષની ભરતીમાં તેણે રાજકોટ ખાતે શારીરિક કસોટી સફળતાપૂર્વક પાસ કરી હતી, પરંતુ લેખિત પરીક્ષામાં માત્ર જૂજ માર્કસ માટે તે રહી ગઈ હતી. હિંમત હાર્યા વગર તેણે ફરી તૈયારી કરી હતી, પરંતુ ચાલુ વર્ષે રાજકોટ ખાતે યોજાયેલી ફિઝિકલ ટેસ્ટમાં તે નિષ્ફળ રહી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર, ૨૬ ફેબ્રુઆરીના રોજ જ્યારે પરિવારના સભ્યો ઘરે હાજર ન હતા, ત્યારે પૂનમે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, પરીક્ષામાં માત્ર એક કે બે માર્કસના તફાવતથી અટકી જવાના કારણે તે સતત માનસિક ચિંતામાં રહેતી હતી. સતત મહેનત છતાં નિષ્ફળતા મળતા તે ભાંગી પડી હતી.ઘટનાની જાણ થતા જ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. ડી.એન. ચાચીયા અને તેમની ટીમ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે મૃતદેહનું પંચનામું કરી તેને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યો હતો અને અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. એક આશાસ્પદ દીકરીના અકાળે અવસાનથી વધાવી ગામ સહિત સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.



