સુરત શહેરની એક પેઢી દ્વારા બોગસ દસ્તાવેજોના આધારે કરોડો રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી રિબેટ મેળવવાના કૌભાંડમાં સીબીઆઈ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે આ કેસમાં સંડોવાયેલા ત્રણ શખ્સો– સમીર ફતેહ મોહમ્મદ ઈમામુદ્દીન (ફરાર), તેજસ અરવિંદભાઈ દેસાઈ અને અમિત મુરારીલાલ ગુપ્તાને દોષિત ઠેરવી ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી. આ સાથે જ અદાલતે ત્રણેય ગુનેગારોને રૂ. 50,000-50,000નો દંડ પણ કર્યો હતો.
મળતી વિગતો અનુસાર, આ સમગ્ર કૌભાંડની વિગત એવી છે કે, સીબીઆઈએ 20 ફેબ્રુઆરી 2009ના રોજ સુરતની મેસર્સ શ્રી સાઈ ઈમ્પેક્સ અને તેના સહયોગીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું હતું કે આરોપીઓએ ગુનાહિત કાવતરું રચીને એક્સપોર્ટના ખોટા પુરાવા બનાવ્યા હતા.આ નકલી એક્સપોર્ટ રેકોર્ડ્સને સાચા તરીકે રજૂ કરીને આરોપીઓએ કુલ 51 જેટલી રિબેટ અરજીઓ દ્વારા રૂ. 1,18,39,833ની એક્સાઇઝ ડ્યુટી રિબેટ મેળવી લીધી હતી, જેના કારણે સુરત સેન્ટ્રલ એક્સાઇઝ સત્તાધિકારીઓને મોટું આર્થિક નુકસાન થયું હતું. સીબીઆઈએ આ કેસમાં સઘન તપાસ બાદ 30 નવેમ્બર 2009ના રોજ સમીર ઈમામુદ્દીન, ઘનશ્યામ ગોરધનભાઈ રફાલિયા, તેજસ દેસાઈ અને અમિત ગુપ્તા વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. લાંબી કાયદાકીય પ્રક્રિયા બાદ કોર્ટે ત્રણ આરોપીઓને સજા ફટકારી છે. ઉલ્લેખનીય છે કે, ટ્રાયલ દરમિયાન આરોપી ઘનશ્યામ ગોરધનભાઈ રફાલિયાનું અવસાન થતાં તેમની સામેની કાયદાકીય કાર્યવાહી માંડી વાળવામાં આવી હતી.હાલમાં સજા પામેલા ત્રણ આરોપીઓ પૈકી સમીર ફતેહ મોહમ્મદ હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. સીબીઆઈ દ્વારા આ ચુકાદાને ભ્રષ્ટાચાર અને આર્થિક ગુનાઓ સામેની લડતમાં એક મહત્વની સફળતા માનવામાં આવી રહી છે.



