સુરત શહેરમાં આવેલા મોટા વરાછાના કોર્પોરેટર રાજેશ મોરડીયાએ રૂ.29.78 લાખની અપ્રમાણસર મિલકત કેસમાં પોલીસ ધરપકડથી બચવા કરેલી આગોતરા જામીન અરજી સુરત કોર્ટે ફગાવી દીધી હતી.
આ કેસની વિગત મુજબ મોટા વરાછા યમુના દર્શન પાછળ ક્રિષ્ના એવન્યુમાં રહેતા રાજેશ રાધવ મોરડીયા વોર્ડ નં.2 (મોટા વરાછા)ના કોર્પોરેટર છે. કોર્પોરેટર રાજેશ મોરડીયાની અપ્રમાણસર મિલકત અંગે સુરત એસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી. જેથી રાજેશ મોરડીયાના જુદા-જુદા બેંકના એકાઉન્ટ સ્ટેટમેન્ટની માહિતી, સબ રજિસ્ટ્રાર કચેરીઓ તરફથી સ્થાવર મિલકત અંગેના દસ્તાવેજી પુરાવો, આવક વેરાની માહિતી તથા વિવિધ સરકારી કચેરીઓમાંથી એકત્રીત થયલા પુરાવા આધારે સીબીઆઈ ગાઈડ લાઈન મુજબ તા.1.4.2021 થી 31.3.2025 સુધીનો ચેક પિરીયડ દરિમયાન તેઓની અને તેઓના પરિવારની કાયદેસરની આવકના સ્ત્રોત રૂ.43.47 લાખની સામે કુલ રૂ.73.27 લાખ રોકાણ/ખર્ચ કરી વધુ રૂ.29.78 લાખની અપ્રમાણસર રોકાણ ખર્છાઓ અને સ્થાવર જંગમ મિલક્તો વસાવી હોવાનું સામે આવ્યું હતું.
જેથી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ, ૧૯૮૮ ની કલમ ૧૩(૧)(બી) અને ૧૩(૨) હેઠળ રાજેશ મોરડીયા સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આરોપી મોરડીયાએ આગોતરા જામીન અરજી કરી હતી.જે કોર્ટે નામંજૂર કરી હતી. કોર્ટે જણાવ્યું હતું કે ખાસ કરીને આજકાલ જાહેર હોદ્દા ધરાવતા વ્યક્તિઓ દ્વારા આ પ્રકારના વ્હાઇટ કોલર ગુનાઓ ઝડપથી વધી રહ્યા છે અને સમાજ પર તેની થઈ રહેલી અસર પણ ધ્યાનમાં લેવી જરૂરી છે, સરકાર તરફે એપીપી ભરતસિંહ ચાવડાએ દલીલો કરી હતી.



