આંધ્રપ્રદેશમાં હાલ રાજકીય હિંસાનો માહોલ જોવા મળી રહ્યો છે. કૃષ્ણા જિલ્લાના ઇબ્રાહિમપટનમમાં YSRCP નેતા અને પૂર્વ પ્રધાન જોગી રમેશના નિવાસસ્થાન પર પથ્થરમારો અને આગચંપીની ગંભીર ઘટના બની હતી. અહેવાલો અનુસાર, તેલુગુ દેશમ પાર્ટી (TDP) ના પ્રધાન એન. લોકેશ વિરુદ્ધ જોગી રમેશે કરેલી કથિત ટિપ્પણીથી રોષે ભરાયેલા TDP કાર્યકર્તાઓએ તેમના ઘરને ઘેરી લીધું હતું અને હિંસા આચરી હતી. ઘટના સમયે જોગી રમેશના પત્ની અને પિતા ઘરમાં હાજર હતા, પરંતુ પોલીસે સમયસૂચકતા વાપરીને તમામનો સુરક્ષિત બચાવ કર્યો હતો.
આ હિંસાનો સિલસિલો માત્ર અહીં જ અટક્યો નથી; અગાઉ તિરુપતિ લાડુ વિવાદ પર નિવેદન આપનારા YSRCP ના અન્ય એક વરિષ્ઠ નેતા અને પૂર્વ પ્રધાન અંબાતી રામબાબુના ઘર પર પણ તોડફોડ કરવામાં આવી હતી. TDP કાર્યકર્તાઓએ રામબાબુના નિવેદનને મુખ્ય પ્રધાન એન. ચંદ્રબાબુ નાયડુ માટે અપમાનજનક ગણાવ્યું હતું, જે બાદ તેમની ધરપકડ પણ કરવામાં આવી છે. આ ઘટનાઓને પગલે રાજ્યની બંને મુખ્ય રાજકીય પાર્ટીઓ સામસામે આવી ગઈ છે અને સમગ્ર આંધ્રપ્રદેશમાં અશાંતિનો માહોલ પેદા થયો છે.YSRCP એ આ હુમલાઓની સખત નિંદા કરતા તેને ઘૃણાસ્પદ અને શરમજનક ગણાવ્યા છે. પાર્ટીના વરિષ્ઠ નેતા ભુમના કરુણાકર રેડ્ડીએ આરોપ લગાવ્યો હતો કે ભીડે જોગી રમેશની હત્યા કરવાના ઈરાદાથી હુમલો કર્યો હતો. બીજી તરફ, રાષ્ટ્રીય પ્રવક્તા કાર્તિક યેલાપ્રગડાએ દાવો કર્યો છે કે અંબાતી રામબાબુ પરનો હુમલો એ અચાનક બનેલી ઘટના નથી, પરંતુ TDP ના નિર્દેશો પર કરવામાં આવેલું કાવતરું છે.



