મધ્યપ્રદેશનાં મંત્રી વિજય શાહે ઓપરેશન સિંદૂરમાં મહત્વપૂર્ણ કામગીરી કરનારા કર્નલ સોફિયા કુરેશી અંગે વાંધાજનક નિવેદન આપ્યું હતું, આ નિવેદનની મધ્ય પ્રદેશ હાઇકોર્ટે નોંધ લીધી હતી અને તાત્કાલીક મંત્રીની સામે ચાર કલાકમાં જ એફઆઇઆર દાખલ કરવા આદેશ આપ્યો હતો. બીજી તરફ લોકોએ સોશિયલ મીડિયા પર મંત્રીના વાંધાજનક નિવેદનની ભારે ટિકા કરી હતી. એક કાર્યક્રમમાં જાહેર મંચ પરથી મધ્યપ્રદેશના મંત્રી વિજય શાહે સૈન્યના કર્નલ સોફિયા કુરેશી અંગે વાંધાજનક નિવેદન આપ્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
જેમાં વિજય શાહ પહલગામ હુમલો અને ભારતના ઓપરેશન સિંદૂરની વાત કરી રહ્યા હતા ત્યારે કર્નલ સોફિયા કુરેશી અંગે વારંવાર વાંધાજનક નિવેદન આપ્યા હતા. તેમના આ નિવેદનની વિપક્ષ દ્વારા ભારે ટિકા કરવામાં આવી હતી. જ્યારે લોકોએ પણ સોશિયલ મીડિયા પર મંત્રીની ટિકા કરી હતી.
મંત્રીના આ નિવેદનની નોંધ મધ્ય પ્રદેશ હાઇકોર્ટે સુઓમોટો નોંધ લીધી હતી અને ફટકાર લગાવી હતી. હાઇકોર્ટના ન્યાયાધીશ અતુલ શ્રીધરનની બેંચે કહ્યું હતું કે ચાર કલાકની અંદર મંત્રી વિજય શાહ સામે ફરિયાદ દાખલ કરો. આ મામલે હવે ગુરુવારે વધુ સુનાવણી કરવામાં આવશે. જ્યારે કોંગ્રેસે વિજય શાહના રાજીનામાની માગણી કરી હતી. નોંધનીય છે કે પાકિસ્તાનના આતંકીઓ સામે ભારતના ઓપરેશન સિંદૂરનું મીડિયા બ્રિફિંગ સૈન્યના કર્નલ સોફિયા કુરેશી અને વિંગ કમાન્ડ વ્યોમિકા સિંહે સંભાળ્યું હતું અને આ ઓપરેશનની સફળતાની વાત દેશ સુધી પહોંચાડી હતી. દેશભરમાં કર્નલ સોફિયા કુરેશીના વખાણ થઇ રહ્યા છે. એવામાં મંત્રીએ તેમના અંગે વાંધાજનક નિવેદન કરી વિવાદ છેડયો હતો.
