પોરબંદરથી 30 કિલોમીટરના અંતરે દેવભૂમિદ્વારકા જિલ્લામાં આવેલા શનિદેવના જન્મસ્થાન ગણાતા હાથલા ગામે શનેશ્વરી અમાસ નિમિતે રાજયભરમાંથી અનેક લોકો દર્શનાર્થે ઉમટી પડયા છે. દર વર્ષની જેમ પદયાત્રીઓ શ્રધ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને આ જ રીતે રાત્રે 12 વાગ્યા સુધી હાથલામાં ભક્તોની લાંબી લાઇનો જોવા મળે છે. ખાસ વાત એ છે કે પનોતી ઉતારવા માટે લોકો અહીં ચંપલ અને કપડાં મૂકીને જતાં રહે છે.
જેવુ શનિદેવ સ્થાન મહત્વ શિગણાપુરમાં છે એવુ જ મહત્વ ગુજરાતમાં આવેલા શનિસ્થાન હાથલામાં રહ્યુ છે. એમ મનાય છે કે, શનિદેવનો જન્મ સૌરાષ્ટ્રમાં હાથલામાં થયો છે. આથી અહી શનેશ્વરી અમાસ અને શનિ જયંતી અને દર શનિવારે દર્શનાર્થીઓની ભીડ રહે છે. આજે શનેશ્વરી અમાસ નિમિતે અનેક ભાવિકો શનિ ચાલીસાના પાઠ કરે છે તેમજ શનિદેવના જપ કરે છે. તેમજ સાડાસાતી પનોતી અને અઢી વર્ષની પનોતી નિવારણ શાંતિ માટે વિશેષ પૂજાવિધિ કરે છે. અહી બાવન ગજની ધજા ચડાવવાનો મહિમા છે.
અહી દર્શન બાદ બુટ ચંપલ છોડી જવાનો મહિમા હોવાથી લોકોએ આ પરંપરાને નિભાવે છે. અહી આવતા યાત્રિકો પૈકી અનેક યાત્રિકો પદયાત્રા કરે છે. જેથી પદયાત્રીઓ માટે રસ્તામાં ચા-નાસ્તાની સવલત રાખવામાં આવે છે. અન્ય એક માન્યતા મુજબ આ શનિ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે, શનિદેવ હાથીની સવારીએ અહીં આવ્યા હતા અને તેમણે આ રીતે અહીં સ્થાનક બનાવ્યું હતું. પુરાતત્વ ખાતું આ મંદિરને પનોતી દેવી મંદિર તરીકે ઓળખાવે છે. અહીં શનિ દેવ પત્ની પનોતી દેવી સાથે પધાર્યા હોવાથી આ મંદિરને પનોતી મંદિર તરીકે ઓળખાય છે.
