જામનગરનાં કાલાવડ ટાઉનમાં જીવાપર રોડ પર સવારે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. કપાસનો જથ્થો ભરીને જઈ રહેલા એક ટ્રક ઉપર ત્રણ શ્રમિકોને બેસાડયા હતા. તે ટ્રક પસાર થતી વખતે ૬૬ કેવી વીજ લાઈનને ઉપરથી અડી ગયો હતો, જેથી ટ્રકની કેબીન પર બેઠેલા ત્રણ શ્રમિકો પૈકીના એક શ્રમિકનું વીજ અચકો લાગવાના કારણે અંતરિયાળ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય બે શ્રમિકો ઇજાગ્રસ્ત બન્યા છે. કાલાવડ પોલીસ, પીજીવીસીએલ, ફાયર બ્રિગેડ સહિતની ટુકડીઓ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આ ગોઝારા અકસ્માત ના બનાવની વિગત એવી છે કે, કાલાવડમાં રહેતો દેવરાજભાઈ ધનાભાઈ રાઠોડ નામનો ટ્રક ચાલક પોતાનો ટ્રક લઈને તેમાં કપાસનો જથ્થો ભરીને કાલાવડ જીવાપર રોડ પરથી પસાર થઈ રહ્યો હતો. 
જે ટ્રકમાં ત્રણ મજૂરો કાલાવડમાં રહેતા ઇસ્માઈલ જુમાભાઇ સંધી ઉપરાંત વીકેસ ઉર્ફે વિકાસ સાગરભાઇ અજનાર તેમજ હુસેનભાઇ સુમરાને કેબીન ઉપર બેસાડયા હતા. જે કાલાવડના જીવાપર રોડ ઉપર ગૌશાળા પાસે પહોંચતા રોડ ક્રોસ કરતી ટ્રક વીજલાઈનને અડી જતા વિકેશને જતાં વીજ કરંટ લાગતાં તેનું સ્થળ પર જ મૃત્યુ નીપજયું હતું. આ ઉપરાંત ટ્રકમાં બેઠેલા ઈસ્માઈલ જુમાભાઇ શંધી ને પણ વીજ કરંટ લાગતાં વાસાના ભાગે તથા પગના ભાગે દાઝી જતા તેમજ કાન તથા મોઢાના ભાગે સામાન્ય ઈજા થઈ હતી. તથા હુશેનભાઈ સુમરાને સામાન્ય ઈજા થઈ હતી.
જે બંનેને સારવાર અપાઈ રહી છે. આ અકસ્માતના બનાવની જાણ થતા સૌપ્રથમ કાલાવડની પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને પોલીસે તાત્કાલિક અસરથી પીજીવીસીએલની ટીમ તેમજ ફાયર બ્રિગેડને જાણ કરતા કાલાવડની વીજ ટુકડી ઉપરાંત ફાયર શાખાની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ ટ્રકમાં પડેલો કપાસનો જથ્થો ઉપડતી સળગી ગયો હતો, જેને પાણીના મારો ચલાવીને ઠારી દીધો હતો. આ ઉપરાંત 66KV વીજ લાઇન જોકે ટ્રીપ મારી ગઈ હતી. તાત્કાલિક અસરથી વીજ પુરવઠો બંધ કરાવી દીધા બાદ ટ્રકને સાઈડમાં ખસેડી લેવામાં આવ્યો હતો, અને આખરે મોડેથી વીજ પુરવઠો પણ પૂર્વવત બનાવી દેવાયો હતો. કાલાવડ પોલીસે ઇજાગ્રસ્ત શ્રમિક ઈસ્માઈલભાઈ સંધિની ફરિયાદના આધારે ટ્રક ચાલક દેવરાજભાઈ ધનાભાઈ રાઠોડ સામે ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી હતી.



